AHAVADANGGUJARAT

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વઘઈ તા.૨૪,પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લા પંચાયત અને આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) નાં સંયુક્ત ઉપક્રમે વઘઇ કૃષિ મહાવિધ્યાલય ખાતે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા કક્ષાનાં ‘રાષ્ટ્રિય પંચાયતીરાજ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

‘રાષ્ટ્રિય પંચાયતીરાજ દિવસ’ ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનાં અધ્યક્ષ તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે ૨૪ એપ્રિલના રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ” ની ઉજવવામાં આવે છે. આ દિવસ બંધારણમાં ૭૩ મો સુધારો અધિનિયમ, ૧૯૯૨ પસાર થયાની યાદમાં ઉજવવામાં આવે છે. પંચાયતી રાજને ૧૯૯૩ ના ૭૩ મા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બિલ લોકસભા દ્વારા ૨૨ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ અને રાજ્યસભા દ્વારા ૨૩ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને ૧૭ રાજ્યોની એસેમ્બલીઓએ મંજૂરી આપી હતી અને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. આ કાયદો ૨૪ એપ્રિલ ૧૯૯૩ ના રોજ અમલમાં આવ્યો. પંચાયત રાજ પ્રણાલીએ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને વિકાસ અને સશક્તિકરણનો ભાગ બનવાની જગ્યા પૂરી પાડીને તેમના ઉત્થાનમાં મદદ કરી છે. ગ્રામ પંચાયતની પ્રાથમિક ભૂમિકા શિક્ષણ, વાહનવ્યવહાર, આરોગ્ય સંભાળ, પાણી, કૃષિ અને સ્વચ્છતા સુવિધાઓ જેવી પાયાની સેવાઓ પૂરી પાડવાની અને ગામના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં મદદ કરવાની છે. પંચાયતી રાજ વ્યવસ્થા ત્રણ સ્તરે અસ્તિત્વ ધરાવે છે. તળિયે ગ્રામ પંચાયત છે, તેની ઉપર પંચાયત સમિતિ છે અને સૌથી ઉપર જિલ્લા પરિષદ છે. ચાલુ વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને “સંપૂર્ણ સરકાર” અભિગમ મારફતે એક મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં છ કેન્દ્રીય મંત્રાલયો સામેલ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, ઊર્જા મંત્રાલય, રેલવે મંત્રાલય અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય.વધુમાં ગામડાઓ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે તેમ જણાવી શ્રી વિજયભાઈ પટેલ લોકોને ગ્રામ પંચાયતમાં અવશ્ય ભાગ લઈને ગ્રામ સભામાં ગામના પ્રશ્નોની રજુવાત કરવાં જણાવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયતનાં પ્રતિનિધિઓ ગામના પ્રશ્નો અંગે મહત્વતા આપી લોકોની સુખાકારી માટે પ્રશ્નો નિરાકરણ કરે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. ડાંગમાં પાણીની સમસ્યા પડકાર જનક છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા તાપી આધારિત ૮૬૬ કરોડની યોજના શરૂ કરવામાં આવેલ છે. જેની કામગીરી હાલ પ્રગતિમાં છે. તેમજ આહવાને પૂરતું પાણી મળી રહે તે માટે ઘોઘલી ઘાટમાં ૧૦૦ કરોડના ખર્ચે ૫૦ મીટરના પાંચ નાનાં ડેમો બાંધવા અંગેની સરકારમાં દરખાસ્ત મુકવામાં આવેલ છે. જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.આ ઉપરાંત ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પાણી સમસ્યા દૂર કરવાં માટે નાનાં નાનાં વિયર ડેમો બનાવવા જરૂરી છે. તેમ જણાવી મહાકાય ડેમો બનાવી લોકોને બેઘર કરવાં હોવા અંગેની અફવા તેમજ ડેમ લોકોને ભ્રમિત કરતાં લોકોને જાકારો આપી સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપી નાનાં ડેમો બનાવવા માટે સર્વેની કામગીરી કરવાં બાબતે લોકોને સહકાર આપવાની અપીલ કરી હતી. નાનાં વિયર અને સિંચાઈનાં ડેમો બનશે તો વહી જતું પાણીને અટકાવી શકાશે અને ઉનાળામાં પાણીની તકલીફ દૂર કરી શકાશે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યું હતું કે,  રાષ્ટ્રિય પંચાયતીરાજ દિવસએ લોકશાહીના મૂળ પાયાના દિવસની ઉજવણી છે. પંચાયતી રાજ વ્યવસ્થા એ લોકો દ્વાર લોકો માટે ચાલી આવેલ વ્યવસ્થા છે. શ્રીમતી ગાઈને પંચાયતી રાજ વ્યવસ્થાને લોકશાહીનું ઘરેણું ગણાવ્યું હતું. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનાં કારણે ગામોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી  હિરલ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં ‘રાષ્ટ્રિય પંચાયતીરાજ દિવસ’ ઉજવણી અંતર્ગત પંચાયતી રાજનાં અમલ અંગેનો ખ્યાલ આપી ત્રણ સ્તરે અસ્તિત્વ ધરાવતી પંચાયતી રાજ સંસ્થાઓનો વિસ્તાર પૂર્વક ખ્યાલ આપ્યો હતો. આગાખાન સંસ્થાનાં એરિયા મેનેજર  અંજલીબેન ગામિતે પંચાયત રાજ સંસ્થા, પંચાયતી માળખું તેમજ જનભાગીદારી સાથે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નો ખ્યાલ આપ્યો હતો. સરકાર, સમાજ અને સંસ્થા જો એકસાથે મળી કાર્ય કરે તો જ ગામનો વિકાસ છે તે શક્ય છે તેમ જણાવ્યું હતું. આ ઉજવણી દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.

Back to top button
error: Content is protected !!