ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે “જાગો મતદાર જાગો” શેરી નાટક થકી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો
સશક્ત લોકશાહીના નિર્માણમાં સહભાગીતા અદા કરવા “હું અવશ્ય મતદાન કરીશ” નો સંકલ્પ લેતા વાડીનારના ગ્રામજનો
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૦૭ મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. દરેક નાગરિક મતદાન કરવા અંગે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૧૨ – જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧ – ખંભાળિયા મતદાર વિભાગનાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે “જાગો મતદાર જાગો” શેરી નાટક થકી મતદાર જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં નાટ્ય કલાકારોએ મતદાન જાગૃતિ સંદેશ આપતું પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. ખાસ કરીને મહિલા મતદાતાઓ સહપરિવાર મહત્તમ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ મતદાન કરવા માટે આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી.
ઉપરાંત સશકત લોકશાહીના નિર્માણમાં પોતાની સહભાગીતા અદા કરવા ગ્રામજનોએ પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે “હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ લીધા હતા.
આ તકે સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ, ખંભાળિયા મામલતદાર શ્રી વી.કે. વરૂ સહિત કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.