દેશમાં આશરે ૨૬ કરોડની જન સંખ્યા ધરાવતા ક્ષત્રિય આહીર સમાજ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા છેલ્લા ૭૦ વર્ષથી ભારતીય થલ સેનામાં ‘આહીર રેજીમેંટ’ ની શાંતિપૂર્ણ માંગણી કરવામાં આવી રહી છે,તેમ છતાં તેમની માંગણી ને સ્વીકારવામાં આવી નથી રહી.
આ બાબતે છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં પણ ભારે જાગૃતતા જોવા મળી રહી છે અને સતત આ મુદ્દા પર અવાજ ઉઠી રહ્યો છે,તેમજ આહીર સમાજના લગભગ તમામ કાર્યક્રમોમાં આહીર રેજીમેંટના મુદ્દા પર ચર્ચા થતી જોવા મળે છે ત્યારે ગુજરાતમાં આહીર રેજીમેંટ જાગૃતતાના જનક તરીકેની ઓળખ ધરાવતા અને આહીર રેજીમેંટના મુદ્દા પર ગુજરાતમાં સૌપ્રથમ રથયાત્રા દ્વારા જાગૃતતા લાવનાર આહીર યુવા અગ્રણી આહીર ભાવેશભાઈ સોલંકી દ્વારા ૧૫.૦૩.૨૪ ના રોજ પ્રધાનમંત્રીશ્રીને પોર્ટલના માધ્યમથી રજૂઆત કરી છે કે આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્ષત્રિય આહીર સમાજે દેશ માટે લાખો બલિદાનો આપ્યા છે,આ સિવાય ભારતવર્ષની સૌથી પહેલી રેજીમેન્ટ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના વંશજો(ક્ષત્રિય આહીર સમાજ)ની બનાવી હતી અને તેનું નામ ‘નારાયણી સેના’હતું,જેમાં તમામ યોદ્ધાઓ યદુવંશી આહીરો(યાદવો) હતા અને આ સેનાને સ્વયં દેવતાઓ પણ પરાસ્ત ન કરી શકે એટલી શક્તિશાળી હતી,આ સિવાય રેઝાંગલા-૧૯૬૨,વડગાવ,હાજીપીર, અક્ષરધામ,નાથુલા,કારગિલ સહિતના અનેક યુદ્ધોમાં યદુવંશી આહીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.
વિશેષમાં યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં અનેક સાંસદોએ રાજ્યસભા અને લોકસભામાં આહીર રેજીમેંટના નિર્માણ અંગે માંગણી મૂકી છે તેમજ દેશના અનેક રાજ્યની વિધાનસભામાં પણ આહીર રેજીમેંટ નિર્માણના સુર ઉઠ્યા છે ત્યારે ક્ષત્રિય આહીર સમાજની દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવાની (શહિદી વહોરવાની) માગણીને ન સ્વીકારવી તે અંત્યત દુઃખદ વાત છે,લાખો કરોડો યદુવીરોએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે અને શહિદી વ્હોરી છે ત્યારે તેમના સન્માનમાં ભારતીય થલ સેનામાં આહીર રેજીમેંટ નું નિર્માણ કરવું અત્યંત આવશ્યક અને જરૂરી બાબત છે.
તાજેતરમાં જ્યારે રાજકીય ક્ષેત્રે પણ સારું પરિણામ લાવવા ક્ષત્રિય આહીર સમાજની કિંમત દરેક પક્ષોને સમજાણી હોઈ ત્યારે વિશ્વમાં માત્ર કૃષ્ણવંશી આહીર સમાજ જ એવો હશે જે દેશ માટે શહિદી વહોરવા માટે ભારતીય થલ સેનામાં ‘અહીર રેજીમેન્ટ’ની માંગણી કરી રહ્યો હોઈ,માટે સરકારે રાષ્ટ્ર પ્રત્યે કઈક કરી છૂટવાની ભાવના ધરાવતા યદુવંશીઓની માંગણીને તાત્કાલિક ધોરણે સ્વીકાર કરી અને શહીદોને ઉચિત સમ્માન આપવું જોઈએ.