અષાઢી બીજ નિમિત્તે ડીસાથી ભગવાન જગન્નાથજીની ૨૮મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન

17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ભગવાન જગન્નાથજીની ૨૮મી ભવ્ય રથયાત્રાને કરાવ્યું પ્રસ્થાન શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ડીસામાં ભગવાન જગન્નાથજીની દિવ્ય રથયાત્રામાં મોટીસંખ્યામાં ભક્તો ઉમટ્યા
ડીસા ખાતે શ્રી સુભાષચંદ્ર શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટ, ડીસાના સંચાલક મંડળ દ્વારા ભગવાન જગન્નાથજીની દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ રામજી મંદિર, ડીસાથી રિસાલા ચોક, ડીસા સુધી ૨૮મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનુ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતુ.આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત ડીસા ખાતેની ૨૮મી જગન્નાથ રથયાત્રાનું અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય પ્રસ્થાન થયું છે. વર્ષભર જે પવિત્ર ક્ષણની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તેવા ભગવાન જગન્નાથજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. આ ઐતિહાસિક અને મંગલમય અવસરના સાક્ષી બનવા માટે ડીસા નગરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી રાજ્ય અને દેશ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસના માર્ગે સતત આગળ વધે તેવી પ્રાર્થના સાથે સૌને અષાઢી બીજ અને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ‘જય જગન્નાથ’ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ સાથે યોજાયેલી આ રથયાત્રામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટના સંચાલક મંડળ દ્વારા રથયાત્રાના આયોજન માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટના સંચાલક મંડળ, સેવાભાવી કાર્યકરો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા હતા.












