રહીશો મુશ્કેલીમાં:અંકલેશ્વર હાઉસિંગ બોર્ડના મુખ્ય રસ્તા પર છેલ્લા ચાર દિવસથી ગટરનું પાણી ફરી વળ્યું
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નગર સેવાસદન વોર્ડ નંબર 9માં તંત્રની પોલ ખોલતો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મુખ્ય માર્ગ પર છેલ્લા ચાર દિવસથી ગટરનું પાણી ઉભરાય રહ્યું છે. આના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.સ્થાનિક મહિલાઓએ ગટરના પાણીની દુર્ગંધ અંગે નગરસેવકો અને પાલિકાના સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી છે.
સોસાયટીમાં ફેલાયેલી દુર્ગંધના કારણે બાળકો બીમાર પડી રહ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ત્રણ મહિનાથી રોડ ડ્રેનેજનું કામ અધૂરું છે. કોન્ટ્રાક્ટર કામ છોડીને જતો રહ્યો છે. લોકોએ પાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં કામગીરી શરૂ થશે અને સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે.