JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરમાં ભાજપના મોટા ક્ષત્રિય આગેવાને પરશોત્તમ રૂપાલાને પત્ર લખી સ્વૈચ્છીક રીતે ઉમેદવારી પરત ખેંચવા કહ્યું

પરશોત્તમ રૂપાલા વિવાદમાં જામનગરથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ થાય તે માંગણી સાથે આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે જામનગરમાં ભાજપના મોટા ક્ષત્રિય આગેવાને પરશોત્તમ રૂપાલાને પત્ર લખી સ્વૈચ્છીક રીતે ઉમેદવારી પરત ખેંચવા કહ્યું છે. પ્રવીણસિંહ જાડેજા જામનગર જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી છે. આ સાથે તેઓ રાજપૂત સેવા સમાજ જામનગરના ટ્રસ્ટી પણ છે. તેમણે પરશોત્તમ રૂપાલાને પત્ર લખી રાજકોટ લોકસભા બેઠક પરથી સ્વૈચ્છીક રીતે ઉમેદવારી પરત ખેંચવા કહ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે :

સવિનય જણાવવાનું કે, ગત તારીખ 23/3/2024 ના રોજ એક સમાજના કાર્યક્રમ દરમિયાન આપ સાહેબે રાજા રજવાડા અને ક્ષત્રીય સમાજની બહેન દીકરીઓની અસ્મિતા પર પ્રહાર સમાન કરેલ નિવેદનના કારણે રાજ્યમાં ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિથી આપ વાકેફ છો જ.

આપ પક્ષના સિનિયર, અનુભવી અને પ્રભાવી આગેવાન છો પરંતુ આપનું આ નિવેદન મારી દ્રષ્ટિએ પક્ષના શિસ્ત ભંગનું ઉત્તમ ઉદાહરણ છે. કારણકે પક્ષ માટે નુકસાનકારક કોઈ વાત કે નિવેદન કરવું એ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનનો ભંગ કાર્ય સમાન હોય છે.

માત્ર ભાજપના કાર્યકરો જ નહીં પરંતુ ભારતના નાગરિકો માટે પણ પ્રેરણા સ્ત્રોત એવા આપણા શ્રધ્ધેય વડાપ્રધાન અને ભારત રત્ન આદરણીય શ્રી અટલ બિહારી બાજપાયજીએ પક્ષના સંનિષ્ઠ, વફાદાર અને પ્રમાણિક કાર્યકર અને આગેવાનની વ્યાખ્યા અનેક વખત આપેલ છે, તે મુજબ પક્ષના કાર્યકર કે આગેવાનમા “મુજ સે બડા દલ ઓર દલ સે બડા દેશ” એવી પક્ષ તથા રાષ્ટ્ર પ્રત્યે પ્રખર ભાવના જે કાર્યકર કે આગેવાનમાં હોય તે જ ભાજપનો સમર્પિત, વફાદાર, સનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર કહેવાય.

ભાજપના સંસ્થાપકો શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારોને કારણે તેમજ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનને કારણે જ આજે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે તે વાસ્તવિકતા આપે સ્વીકારવી જ રહી.

જો આપ બાજપાયજીએ કાર્યકરના સંદર્ભમાં આપેલ વ્યાખ્યા સમાન ઉક્ત વાક્યમાં માનતા હો, તો આપે પોતાના હિત કરતા પાર્ટી, રાજ્ય તથા દેશનું હિત મહત્વનું તથા મોટું છે અને અગ્રસ્થાને છે તેવું સ્વીકારીને આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકેની આપની ઉમેદવારી સામે ચાલીને રદ કરવા માટે પાર્ટીને સ્વૈચ્છિક રીતે જણાવવું જોઈએ અને પાર્ટી પ્રત્યેની આપની વફાદારીની ભાવનાને પ્રદર્શિત કરવી જોઈએ.

જો આપ એવું ન કરી શકો તો આપના હિત કરતા પાર્ટી, રાજ્ય અને દેશનું હિત ગૌણ છે તેવું આપ વ્યક્તિગત રીતે માનો છો, તે સ્વયં સ્પષ્ટ થઈ જશે.

મારી આ અપીલ આપને કડવી ચોક્કસ લાગશે, પરંતુ સત્ય બોલવું અને સત્ય લખવું એ એક ક્ષત્રિય તરીકે અને પક્ષના વફાદાર કાર્યકર્તા તરીકેની મારી ફરજ છે, એટલે આપને આ પત્ર લખ્યો છે.

આપ પોતાની ઉમેદવારી સ્વૈચ્છિક રીતે જતી કરીને સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજની ગરિમાનું સન્માન કરશો અને ચુંટણીમાં પાર્ટીને થનાર ગંભીર નુકસાનીને અટકાવશો તેવી વ્યાજબી અપેક્ષા રાખું છું.

આપનો વિશ્વાસુ

(પ્રવીણસિંહ જે. જાડેજા.) મહામંત્રી જિલ્લા ભાજપ, જામનગર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!