વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “યોગથી નિરોગી ભારત”ના સંકલ્પને સાકાર કરતું જૂનાગઢ : વિશ્વ યોગ દિવસ પૂર્વે જિલ્લામાં યોગમય માહોલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “યોગથી નિરોગી ભારત”ના સંકલ્પને સાકાર કરતું જૂનાગઢ : વિશ્વ યોગ દિવસ પૂર્વે જિલ્લામાં યોગમય માહોલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “યોગને જનઆંદોલન” બનાવવાના વિઝન અને “યોગથી નિરોગી ભારત”ના સંકલ્પને સાકાર કરવા વિશ્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર, યોગ બોર્ડ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરીના સંયુક્ત ઉપક્રમે વિવિધ ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં યોગમય માહોલ સર્જાયો છે.તેના ભાગરૂપે જૂનાગઢના ઐતિહાસિક મહત્વ ધરાવતા સક્કરબાગ ઝૂ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વનવિભાગ, યોગ બોર્ડના કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો. પ્રકૃતિના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યોગના શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સતાધાર મંદિર, ભેંસાણની હવેલી તથા વિલિંગ્ડન ડેમ ખાતે પણ વિશેષ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને કર્મચારીઓએ ભાગ લઈ યોગને દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.યોગને નવીનતા સાથે જોડતા આજે કોર્પોરેશન સ્વિમિંગ પુલ ખાતે વિશેષ “એકવા યોગ” (Aqua Yoga)નું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીમાં કરવામાં આવતા યોગ દ્વારા શરીરની લવચીકતા, સંતુલન અને તંદુરસ્તી જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનને ઉપસ્થિતોએ ઉત્સાહભેર આવકાર્યો હતો. વિશ્વ યોગ દિવસ પૂર્વે યોગની આ શ્રેણીને આગળ વધારતા આવતીકાલે ગરવા ગિરનારના અંબાજી મંદિર ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોગ દ્વારા આરોગ્ય અને આંતરિક શાંતિનો સંદેશ પ્રસરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખી યોગ બોર્ડ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાન અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાઈ સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ .





