માળીયાહાટીના તાલુકામાં ૧૦ ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું
માળીયાહાટીના તાલુકામાં ૧૦ ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક દાતા જાહીદાબેન સમસાની દ્વારા ‘નીક્ષય મિત્ર’ તરીકે માળીયાહાટીના અને આજુબાજુના ૧૦ ટીબી દર્દીઓને દત્તક લઈ પોષણ કિટનું દાન કરવામાં આવ્યું હતું.
ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે દર્દીઓને નિયમિત દવાઓની સાથે પૌષ્ટિક આહારની પણ જરૂરિયાત રહે છે. તાલુકા હેલ્થ ઓફીસ, માળીયા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી અધિકારી ચંદ્રેશ વ્યાસ અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓને ટીબી દર્દીઓની મદદ માટે આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ડીટીઓ ચંદ્રેશ વ્યાસ દ્વારા ઉપસ્થિત દર્દીઓને ટીબીના રોગ, તેની સારવાર અને સંભાળ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જાહીદાબેન સમસાની દ્વારા તમામ દર્દીઓને પોષણ કિટ એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.જી.ડાભી, આગખાન સંસ્થામાંથી પાર્થિવભાઈ, ભંડુરી PHC ના મેડિકલ ઓફિસર ડૉ. સ્વપ્ના ભરડા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશ કછોટ તથા STS વરૂભાઈ સહિતના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




