ગુજરાતનાતના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ કરાયેલી 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન બે દિવસમાં દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના અબડાસા વિધાનસભાના ધારાસભ્યએ ચંડોલા તળાવની ડિમોલિશનની કામગીરીનો વિરોધ નોંધાવ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ‘ભૂમાફિયાઓ-ઉદ્યોગોએ કરેલાં દબાણ દૂર કરો, ગરીબોનાં નહીં…’ આ મામલે તેમણે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રભારી મંત્રીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદના ચંડોળા તળાવની ડિમોલિશનની કામગીરી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂમાફિયાઓ-ઉદ્યોગોપતિ દ્વારા કરવામાં આવેલા દબાણ સામે ગરીબોને કરવામાં આવતી હેરાનગતિને લઈને ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિરોધ દાખવતાની સાથે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી સહિતને પત્ર લખીને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘મારા વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટ કરવાનું આયોજન નથી અને કોઈ અડચણરૂપ થાય એમ ન હોવાથી ગરીબો અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી.’
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, ‘મોટા મોટા બિલ્ડરો અને ભૂમાફિયાઓ બિલ્ડિંગ બનાવીને દબાણો કર્યા છે. તે જમીનો ખુલી કરાવવી જરૂરી છે. જ્યારે મોટા ઉદ્યોગોએ ફોરેસ્ટની જમીન પર મોટાપાયે દબાણો કરવામાં આવી રહ્યું છે. તે ખુલ્લુ કરાવવું જોઈએ. સરકાર દ્વારા હાલ મારા વિસ્તારમાં કોઈ કામગીરી થવાની નથી તો ખોટી રીતે નોટિસ આપીને લોકોને માનસિક ત્રાસ ન આપવામાં આવે અને જ્યારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે, ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથે સહકાર આપીશું. ‘