
આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીઓને વિજાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરના મણીપુરા રોડ પર થયેલી યુવકની હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં વિજાપુર પોલીસ અને એલ.સી.બી. મહેસાણાને મહત્વની સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મણીપુરા રોડ પર થયેલી હત્યાની ઘટનાને ગંભીરતાથી લઈ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગના પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસ અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીઓ ગવાડા તરફ જતા હોવાનું જાણવા મળતાં પોલીસે ગવાડા નજીકથી તેમને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી ચેતનજી ઠાકોરને પોતાની પત્ની અને મૃતક વચ્ચે આડા સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને કારણે ત્રણેય આરોપીઓએ ભેગા મળી મૃતક પર હુમલો કરી તેની હત્યા કરી હતી. ઉપરાંત ઘટનાના સાક્ષી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.



