વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાંસ્કૃતિક શનિવારનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.જેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ વચ્ચે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ કરવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ફિલ્મ, ડ્રામા અને સંગીત ક્ષેત્રના ૪૦થી વધુ કલાકારો, વડનગર અને આસપાસના ૪૦ શિક્ષકો તેમજ ૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ વડનગર નજીકના નાયક સમાજના ભવાઈ કલાકારો સાથેની ‘ચાય પે ચર્ચા’ રહી હતી. આ બેઠકમાં ભવાઈ કલાની ઉત્પત્તિ અને વર્તમાન સમયમાં આ કલાકારોની સ્થિતિ વિશે રસપ્રદ વાતચીત કરવામાં આવી, જેણે સહભાગીઓને આ પ્રાચીન લોકકલા વિશે જાણકારી મેળવવાની તક આપી હતી.
આ ઉપરાંત, કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિવિધ કલાકારોએ વડનગરના ઐતિહાસિક જળ સ્થાપત્યોની ટૂર કરી હતી. તેઓએ વાવ, કુંડ અને તળાવોની મુલાકાત લીધી અને આ સ્થાપત્યોના ઐતિહાસિક અને સ્થાપત્ય કલાના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.
આજના આ વિશેષ સાંસ્કૃતિક સમાગમમાં ઉપસ્થિત વિવિધ કલાકારોએ પોતાની કલાની પ્રસ્તુતિ પણ રજૂ કરી, જેનાથી કાર્યક્રમમાં એક જીવંત અને કલામય માહોલ સર્જાયો હતો.
આ પહેલ વડનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને સ્થાનિક લોકો અને બહારથી આવતા પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે, તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી વડનગર એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી શકે.