BANASKANTHAGUJARATPALANPUR

મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી યોગ દિવસની ભવ્ય ઉજવણી

21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નહીં પરંતુ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે.બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે પાલનપુર ખાતેથી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”ના ધ્યેય સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી લોકો યોગમાં જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોથી, ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. આજે, ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને, વિશ્વના ખૂણેખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેને ધ્યાને રાખીને, આપણા દૂરંદેશી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં આ વર્ષને “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” તરીકે ઘોષિત કર્યું છે. આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરોનું આયોજન કરાયું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી. તે જીવન જીવવાની એક કળા છે, એક વિજ્ઞાન છે, જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ, અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ. યોગ આપણને આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે, જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે, જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે.

જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટરશ્રી સી.પી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી સહિત સબંધિત અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!