આમોદ તાલુકા પર કુદરતનો પ્રકોપ, ઢાઢર નદીના પૂરમાં મંજુલા ગામ ઘેરાયું, મગર દેખાતા ભયનો માહોલ


સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકામાં આવેલા મંજુલા ગામ પર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. ઢાઢર નદીમાં આવેલા પૂરે ગામને ચારેબાજુથી ઘેરી લીધું છે, જેના કારણે ગ્રામજનો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે ગામના મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોએ જીવના જોખમે ગામની બહાર નીકળવું પડી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિકોએ મદદની અપીલ કરી છે. વધુમાં, નદીના પાણીમાં મગરની હલચલ જોવા મળતાં ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આમોદથી નવીનગરી તરફ જતા મુખ્ય માર્ગ પર કમરસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દૈનિક અવરજવર ખોરવાઈ ગઈ છે. શાળાઓ અને ઓફિસો જતા લોકો અટવાઈ પડ્યા છે અને દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ પૂરમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. આનાથી ખેતીવાડી કરતા લોકોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી બને અને ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તે અત્યંત જરૂરી છે.




