વર્ષ 2050 સુધીમાં ભારતમાં 25 વર્ષથી વધુ ઉંમરના મેદસ્વી લોકોની સંખ્યા 45 કરોડ સુધી પહોંચી શકે છે !!!

બિનઆરોગ્યપ્રદ આહાર અને ફાસ્ટ ફૂડને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. છેલ્લા 10-15 વર્ષોમાં જીવનશૈલી સંબંધિત રોગોનું જોખમ ઝડપથી વધ્યું છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને ફાસ્ટ ફૂડના વધતા વલણને કારણે હૃદય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતાની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.
એક નવા અહેવાલમાં ચિંતાજનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2050 સુધીમાં ભારતમાં 25 વર્ષથી વધુ ઉંમરના મેદસ્વી અથવા વધુ વજનવાળા લોકોની સંખ્યા 450 મિલિયન એટલે કે લગભગ 45 કરોડ સુધી પહોંચી શકે છે. ચીન આ યાદીમાં ટોચ પર છે જ્યાં 2050 સુધીમાં 627 મિલિયનથી વધુ લોકો મેદસ્વી હશે. જ્યારે અમેરિકામાં સ્થૂળતાથી પીડિત લોકોની સંખ્યા 214 મિલિયન સુધી પહોંચશે.
સંશોધન કહે છે કે, જો બધું આ રીતે ચાલુ રહેશે તો વૈશ્વિક સ્તરે 25 વર્ષથી વધુ ઉંમરના લગભગ 3.8 અબજ લોકો મેદસ્વી થઈ શકે છે. જે, એક અંદાજ મુજબ તે સમયે વિશ્વની યુવા વસ્તીના અડધાથી વધુ હશે. આ આંકડામાંથી 1.95 અબજ લોકો મેદસ્વી હોવાનો અંદાજ છે. સબ-સહારન આફ્રિકાના સુપર વિસ્તારમાં રહેતા લોકોમાં સ્થૂળતાથી પીડિત લોકોની સંખ્યામાં 254.8 ટકાનો મોટો વધારો થવાનો અંદાજ છે.
જો આપણે વર્ષ 2021 સુધીના ડેટા પર નજર કરીએ તો વિશ્વભરમાં કુલ 2.11 અબજ યુવાનો મેદસ્વી અથવા વધુ વજનવાળા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 અબજ પુરુષો અને 1.11 અબજ સ્ત્રીઓ હતી. આમાં ચીનમાં લગભગ 402 મિલિયન લોકો મેદસ્વી જોવા મળ્યા. ભારતમાં 18 કરોડ લોકો મેદસ્વી હોવાનું જાણવા મળ્યું અને અમેરિકામાં, 17 કરોડ 20 લાખ લોકો મેદસ્વીતાથી પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું.
અભ્યાસમાં જણાવાયું છે કે, ચીન, ભારત અને અમેરિકામાં મેદસ્વી અથવા વધુ વજનવાળા લોકોની સંખ્યા સૌથી વધુ છે. પરંતુ ઘણા દેશો એવા છે જ્યાં મેદસ્વી લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતની સાથે ચીન, અમેરિકા, બ્રાઝિલ, રશિયા, મેક્સિકો, ઇન્ડોનેશિયા અને ઇજિપ્ત જેવા દેશોની અડધી વસ્તી સ્થૂળતા તરફ આગળ વધી રહી છે. આનું મુખ્ય કારણ ફાસ્ટ ફૂડ હોવાનું માનવામાં આવે છે.
ફાસ્ટ ફૂડની વાત આવે ત્યારે ભારત, કેમરૂન અને વિયેતનામ સાથે એવા ત્રણ દેશો છે જેમણે 2009 અને 2019 વચ્ચે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને પીણાંના માથાદીઠ વેચાણમાં સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. આ વસ્તુઓ સ્થૂળતાનું સૌથી મોટું કારણ બની રહી છે. જો સમયસર આ તરફ ધ્યાન આપવામાં નહીં આવે તો મોટી વસ્તી ગંભીર રોગોની ઝપેટમાં આવી જશે.



