1300થી વધુ ડ્રોન-રોકેટ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો.
હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે ઈઝરાયલની આયરન ડૉમ સિસ્ટમ પણ આ દરમિયાન ફેલ થઈ ગઇ હતી અને તમામ રોકેટ અને ડ્રોન હુમલા સચોટ નિશાન પર પડ્યા હતા.

ઈરાન સમર્થિત લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને શનિવારે ઈઝરાયલ પર ભયાનક હુમલો કર્યો. આ હુમલામાં તેણે 1300થી વધુ ડ્રોન અને રોકેટ વડે ઈઝરાયલને હચમચાવી નાખ્યું હતું. મોટી વાત એ છે કે હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે ઈઝરાયલની આયરન ડૉમ સિસ્ટમ પણ આ દરમિયાન ફેલ થઈ ગઇ હતી અને તમામ રોકેટ અને ડ્રોન હુમલા સચોટ નિશાન પર પડ્યા હતા. જોકે ઈઝરાયલ કહે છે કે અમે મોટાભાગના રોકેટ-ડ્રોન હવામાં નષ્ટ કરી દીધા હતા.
ઈઝરાયલે કહ્યું કે જે પણ ડ્રોન અને રોકેટ વડે હુમલા કરાયા છે તે મોટાભાગે ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા અને અમારી એર ડિફેન્સ સિસ્ટમે તેમાંથી અનેકને નષ્ટ પણ કરી દીધા હતા. જ્યારે હિઝબુલ્લાહે ધમકી આપી હતી કે જો તેણે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિની લોકોનું નરસંહાર કરવાનું બંધ ન કર્યું તો વધુ ઘાતક હુમલા કરાશે. હિઝબુલ્લાહના લેટેસ્ટ હુમલામાં આર્મીનું એક સૈન્ય બેઝ નષ્ટ કરાયાનો દાવો પણ કરાયો છે.
જ્યારથી ઈઝરાયલે પેલેસ્ટાઈન વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી છે ત્યારથી અત્યાર સુધીમાં 41 હજારથી વધુ પેલેસ્ટિની લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ ઉપરાંત હિઝબુલ્લાહના રોકેટ હુમલામાં અલ માયાદીનના જલીલમાં હાજર ઈઝરાયલી બેઝ બરબાદ થઈ ગયું છે. અમિયાદ વિસ્તારમાં ઈઝરાયલના મિલિટ્રી બેઝને નિશાન બનાવાયું હતું. હિઝબુલ્લાહે આ હુમલામાં કાત્યુશા રોકેટનો ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધથી અત્યાર સુધી આ રોકેટનો ઉપયોગ થઇ રહ્યો છે.



