
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – સાધુના વેશમાં છેતરપીડીનો પર્દાફાશ : બે આરોપી ઝડપાયા, રૂ. 9.90 લાખનો મુદ્દામાલ જપ્ત – કાળાજાદુનો પર્દાફાશ

અરવલ્લી જિલ્લામાં સાધુ (બ્રાહ્મણ)નો વેશ ધારણ કરીને લોકોને છેતરતા બે રીઢા આરોપીઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપીડીના અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે.પોલીસ સૂત્રો મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા ખાસ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે એસ.ઓ.જી. પીઆઈ પી.બી. ચૌધરી અને પીએસઆઈ એ.એચ. રાઠોડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સક્રિય હતી.તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે મોડાસા-ધનસુરા રોડ પર રહીયોલ રેલવે ફાટક નજીક નાકાબંધી ગોઠવાઈ હતી. અહીં શંકાસ્પદ ક્રેટા કાર (GJ-08-BB-5155) રોકી તપાસ કરતા તેમાં બેઠેલા બે ઈસમોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમણે પોતાનું નામ શીકાનાથ નાથ અને રામનાથ નાથ (તા. દાંતીવાડા, જી. બનાસકાંઠા) હોવાનું જણાવ્યું.પોલીસે તેમની પાસે થી રોકડ રૂ. 1,00,640, સોના-ચાંદીના દાગીના, પાંચ મોબાઇલ ફોન તેમજ કાર મળી કુલ રૂ. 9,90,340નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડક પૂછપરછમાં આરોપીઓએ ધનસુરા તાલુકાના કોલવડા ગામે સાધુ તરીકે ઓળખ આપી અંધશ્રદ્ધા ફેલાવી અને “ઘરનું દુઃખ દૂર કરી આપવાની” લાલચ આપી લોકો પાસેથી રૂપિયા અને દાગીના પડાવ્યાની કબૂલાત કરી હતી.પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ધનસુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે
મોડસ ઓપરંડી
આરોપીઓ સાધુનો વેશ ધારણ કરી ગામડે ગામડે ફરીને અંધશ્રદ્ધાનો લાભ લઈ લોકો સાથે છેતરપીડી કરતા અને રોકડ રૂપિયા તથા દાગીના પડાવતા હોવાનું બહાર આવ્યું છે.





