MORBI:મોરબીના જેતપર ગામે અદાણી કંપનીનું કામ બંધ છતાં ખેડૂતોનું રખોપું યથાવત: આકરા તાપમાં ગ્રામજનો ખેતરોમાં તૈનાત







MORBI:મોરબીના જેતપર ગામે અદાણી કંપનીનું કામ બંધ છતાં ખેડૂતોનું રખોપું યથાવત: આકરા તાપમાં ગ્રામજનો ખેતરોમાં તૈનાત



જેતપર ગામમાં અદાણી કંપની દ્વારા લાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચેનો ગજગ્રાહ હજુ પણ શાંત પડ્યો નથી. આજે કંપની દ્વારા કામગીરી બંધ રાખવામાં આવી હોવા છતાં, ગ્રામજનો અને ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે ખેતરો પર રાત-દિવસનું રખોપું (પહેરો) યથાવત રાખ્યું છે.
સ્થિતિને જોતાં ગામમાં અને ખેતરોની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસની હાજરી વચ્ચે પણ ખેડૂતો પોતાના હક માટે અડગ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો આક્રોશ છે કે વીજ કંપની તેમની મંજૂરી વગર કે યોગ્ય વળતર આપ્યા વિના પોતાના ટાવર ઊભા કરવાનું કામ આગળ ન વધારે. કંપની કોઈ પણ સમયે છાનાછપના કામ શરૂ ન કરી દે તે માટે ખેડૂતો અત્યંત સતર્ક બન્યા છે.

હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને આકરા તાપની પરવા કર્યા વગર જેતપર ગામના લોકો ખેતરોમાં જ ધામા નાખીને બેઠા છે. આ આંદોલન જેવા માહોલમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ:બહેનો-મહિલાઓ ઘરકામ છોડીને ખેતરે પહોંચી છે.યુવાનો સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેવલે નજર રાખી રહ્યા છે.નાના બાળકો પણ પરિવાર સાથે આકરા તાપમાં ખેતરોમાં હાજર જોવા મળ્યા છે.
“અમારી મંજૂરી વગર અમારી કિંમતી જમીન પર ટાવર ઊભા કરવા દેવામાં નહીં આવે. જ્યાં સુધી આ મામલે કોઈ કાયમી અને ન્યાયિક ઉકેલ નહીં આવે, ત્યાં સુધી અમારો વિરોધ અને ખેતરો પરનો પહેરો આ જ રીતે ચાલુ રહેશે.”

હાલમાં જેતપર ગામમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે અને ખેડૂતોના આકરા વલણને જોતા આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવનાઓ નકારી શકાતી નથી.


