JAMNAGAR:વિજ્ઞાનના યુગમાં પણ પૌરાણિક શ્રદ્ધા જીવંત: જોડિયાના આમરા ગામમાં ‘ઝારના રોટલા’ના વર્તારાથી વરસાદની આગાહી

JAMNAGAR:વિજ્ઞાનના યુગમાં પણ પૌરાણિક શ્રદ્ધા જીવંત: જોડિયાના આમરા ગામમાં ‘ઝારના રોટલા’ના વર્તારાથી વરસાદની આગાહી
અહેવાલ: લલીત નિમાવત (બાલંભા
આજના આધુનિક વિજ્ઞાન અને સેટેલાઇટ ટેકનોલોજીના યુગમાં જ્યાં હવામાન વિભાગ દ્વારા મોન્સૂનની આગાહી કરવામાં આવે છે, ત્યાં જ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આમરા ગામમાં આજે પણ ૫૦૦ વર્ષ જૂની પ્રાચીન પરંપરા અને માન્યતા જીવંત જોવા મળે છે. ગામજનો વિજ્ઞાનની સાથે સાથે પોતાના પૂર્વજોની પ્રાચીન પદ્ધતિ અને વર્તારા પર અકબંધ શ્રદ્ધા ધરાવે છે.
અષાઢના પ્રથમ સોમવારે યોજાય છે વિશિષ્ટ વિધિ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આમરા ગામમાં ઉત્સાહ અને આસ્થા સાથે વરસાદના વર્તારાની વિધિ યોજાઈ હતી:
રોટલો બનાવવાની વિધિ: ગામના સતવારા પરિવારના ઘરે ખાસ ઝાર (જુવાર)નો રોટલો બનાવવામાં આવે છે.
શોભાહસ્તક યાત્રા: ગામના વાણંદ સમુદાયના ઘરેથી આ રોટલો મેળવીને સમસ્ત ગામલોકો વાજતે-ગાજતે શોભાયાત્રા સ્વરૂપે સતી માતાજીના મંદિરે પહોંચે છે.પ્રસાદ અને નિવેદ: સતી માતાજીના ચરણોમાં રોટલાનો પ્રસાદ ધરાવ્યા બાદ, પરંપરા મુજબ ગામના જાડેજા પરિવારના સભ્યના હસ્તે આ રોટલો ગામના કુવામાં પધરાવવામાં આવે છે.
કુવામાં રોટલાની દિશા પરથી થાય છે આગાહી ગામની સદીઓ જૂની પ્રથા મુજબ કુવામાં પધરાવવામાં આવેલા રોટલાની સ્થિતિ અને દિશા પરથી આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે.
આ વર્ષનો વર્તારો:કુવામાં પધરાવ્યા બાદ રોટલો પૂર્વ દિશા તરફ સ્થિર થયો હતો. આ વર્તારા મુજબ, ચાલુ ચોમાસાના શરૂઆતના બે માસ વિત્યા બાદ આવનારા દિવસોમાં પુષ્કળ અને સારો વરસાદ વરસશે.આ સાનુકૂળ આગાહી મળતા જ સમગ્ર આમરા ગામમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આધુનિકતાના સમયમાં પણ ગ્રામીણ સંસ્કૃતિ, એકતા અને લોકશ્રદ્ધાનું આ એક અનન્ય ઉદાહરણ પૂરું પાડે છે.







