MORBI:વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના ‘પ્રોજેક્ટ મુસ્કાન’નો ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ

MORBI:વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના ‘પ્રોજેક્ટ મુસ્કાન’નો ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ
શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું
જેના હૃદયમાં કરુણાનો દીપ બળે છે, તે જ સમાજના વંચિતોના જીવનમાં અજવાળું પાથરી શકે છે. છેલ્લા ૧૩ વર્ષથી સ્લમ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીના શ્રમિક બાળકોના જીવનને રોશન કરતા ‘મેંગોપીપલ પરીવાર’ દ્વારા નારી સ્વાસ્થ્ય અને સંવેદનાને વરેલો અનોખો ‘પ્રોજેક્ટ મુસ્કાન’ હવે સફળતાપૂર્વક ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.
સેવા, દયા અને મમતાના આ ૯મા વર્ષના પ્રવેશની ઉજવણી કોઈ આડંબર વગર, અત્યંત સંવેદનશીલ અને સ્પર્શી જાય તે રીતે કરવામાં આવી હતી. મોરબીના શનાળા રોડ પર આવેલ ગોકુલનગર સ્થિત સરકારી પ્રાથમિક શાળાની ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને એક વાત્સલ્યસભર સ્પર્શ સાથે શારીરિક સ્વચ્છતાની સાચી સમજ આપીને નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માસિક ધર્મ જેવા સંકોચ ભરેલા વિષય પર ‘પ્રોજેક્ટ મુસ્કાન’ના ફાઉન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડ દ્વારા દીકરીઓને એક માતા અને બહેનની જેમ અત્યંત સરળ, વહાલસોઈ અને સહજ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગંદા કપડાના ઉપયોગથી થતા ગંભીર શારીરિક નુકસાન અંગે જાગૃત કરી, સેનેટરી પેડના ઉપયોગ અને શારીરિક સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું ત્યારે અજાણતાથી પીડાતી આ અબુધ દીકરીઓના ચહેરા પર એક અનોખો આત્મવિશ્વાસ અને સુંદર સ્મિત ખીલી ઉઠ્યું હતું. દીકરીઓના ચહેરા પર આ મુસ્કાન લાવવાનું શ્રેય મેંગોપીપલ પરીવારની પવિત્ર નિષ્ઠાને જાય છે.
દીકરીઓ પ્રત્યેની આ અસીમ કરુણા અને સતકર્મ બદલ શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ગોધાણી તથા સમગ્ર સ્ટાફ પરિવારના જયશ્રીબેન, નિમિષાબેન, લલીતાબેન અને સુમિત્રાબેન દ્વારા મેંગોપીપલ પરીવારના મોભી શ્રી મનીષભાઈ રાઠોડ અને શ્રીમતી રૂપલબેન રાઠોડને હૃદયપૂર્વકના આશીર્વાદ અને ‘પ્રોજેક્ટ મુસ્કાન’ના ૯મા વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે…માનવતાનો દીવો પ્રજ્વલિત રાખતો મેંગોપીપલ પરીવાર છેલ્લા ૧૩ વર્ષથી સ્લમ વિસ્તારના નિર્દોષ બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યો છે. સાથોસાથ છેલ્લા ૯ વર્ષથી ‘પ્રોજેક્ટ મુસ્કાન’ દ્વારા રાજકોટ, જામનગર, વાંકાનેર અને હવે મોરબીની હજારો બહેનો-દીકરીઓને શારીરિક સ્વાસ્થ્ય અને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પૂરા પાડીને નારી ગૌરવનું રક્ષણ કરી રહ્યો છે.
આવા પવિત્ર સતકર્મોમાં સહભાગી થવા, આપણું યોગદાન આપવા કે સંસ્થાની વધુ માહિતી મેળવવા માટે શ્રી મનીષભાઈ રાઠોડ (મો. 9276007786) નો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.
“ચાલો સાથે મળી, કોઈના નિરાશાભર્યા જીવનમાં આશાનું પવિત્ર સ્મિત બનીએ…”









