MORBIMORBI CITY / TALUKO

MORBI:​”મોરબીમાં તંત્રની ગંભીર લાપરવાહી: કાગળ પર મકાન તોડી પાડ્યા, પણ હકીકતમાં ‘મોત’ બનીને ઉભા છે બે જર્જરિત મકાનો!”

 

મોરબી: શહેરના ભરવાડ વાળા ખાંચામાં આવેલી ખોખાણી શેરીમાં બે અતિ જર્જરિત મકાનો સ્થાનિક રહીશો અને માસૂમ બાળકો માટે જીવતું જોખમ બન્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, તંત્રએ ઓનલાઇન રેકોર્ડ પર આ મકાનો પડી ગયા હોવાનું દર્શાવી દીધું છે, જ્યારે વાસ્તવિકતામાં આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થાય તેવી હાલતમાં ઉભા છે.

તંત્રની ઘોર બેદરકારી અને ખોટા રિપોર્ટ સામે રોષ – સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઈ અને ગીરીશભાઈ કોટેચા સહિતના અગ્રણીઓએ મોરબી મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અગાઉ ઓનલાઇન અરજી કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાને બદલે ‘મકાન પડી ગયા છે’ તેવો ખોટો રિપોર્ટ કરી દેતા લતાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સાંકડી ગલી અને ચોમાસાનું જોખમ :ખોખાણી શેરી અને માધાણી શેરી વચ્ચે આવતા આ મકાનો અતિશય ગીચ વિસ્તારમાં છે. અહીં રસ્તા એટલા સાંકડા છે કે રીક્ષા પણ અંદર જઈ શકે તેમ નથી. જો આ મકાનો અચાનક પડી જાય, તો ગંભીર જાનહાનિ થવાની ભીતિ છે.

બાળકોનું જોખમ: ગલીમાં નાના બાળકો રમતા હોય છે અને અવર-જવર વધુ રહે છે.ચોમાસાનો ડર: હવે ચોમાસું નજીક છે ત્યારે વરસાદમાં આ જર્જરિત દીવાલો ધરાશાયી થવાની શક્યતા વધી ગઈ છે.સ્થાનિક રહીશોની સહીઓ સાથે કમિશનરશ્રીને ઉગ્ર રજુઆત કરવામાં આવી છે કે:બંને મકાન માલિકોને તાત્કાલિક નોટિસ આપવામાં આવે.કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા આ મકાનોને જમીનદોસ્ત કરવામાં આવે.જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાના સીરે રહેશે.હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકાના કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓ આ ગંભીર પ્રશ્ને ક્યારે જાગે છે અને જનતાના હિતમાં કાર્યવાહી કરે છે.

Back to top button
error: Content is protected !!