MORBI:મોરબીમાં આકાશવાણી સ્ટેશનની તૈયારીઓ વેગવંતી: ઉચ્ચ અધિકારીઓએ કર્યું સૂચિત સ્થળનું નિરીક્ષણ




MORBI:મોરબીમાં આકાશવાણી સ્ટેશનની તૈયારીઓ વેગવંતી: ઉચ્ચ અધિકારીઓએ કર્યું સૂચિત સ્થળનું નિરીક્ષણ

માનનીય મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી મોરબીમાં ટૂંક સમયમાં બનશે ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું
મોરબી શહેર અને સમગ્ર જિલ્લાની જનતા માટે આનંદ અને ગૌરવના સમાચાર છે કે માનનીય મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના સતત પ્રયાસો અને રજૂઆતોના પરિણામે મોરબી ખાતે ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી આગળ વધી રહી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત આજે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની સૂચિત જગ્યાનું ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળની યોગ્યતા, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્ટેશન સ્થાપવા માટેની વિવિધ બાબતો અંગે પ્રાથમિક સમીક્ષા કરવામાં આવી હતી.
આ સ્થળ નિરીક્ષણ દરમિયાન શ્રી અભિષેક અગ્રવાલ સાહેબ, Additional Director General, All India Radio, New Delhi, શ્રી રવિન્દ્ર ગોયલ સાહેબ, Deputy Director General, All India Radio, New Delhi, શ્રી એન. એલ. ચૌહાણ સાહેબ, Deputy Director General, Akashvani Ahmedabad – Gujarat Cluster, તેમજ સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી તથા જયદીપભાઈ દેત્રોજા સહિતના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહી સ્થળ નિરીક્ષણ અને પ્રોજેક્ટ અંગેની ચર્ચામાં જોડાયા હતા.મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા, સામાજિક જાગૃતિ અને જનહિતના કાર્યક્રમોને વધુ વ્યાપક માધ્યમ મળશે. ખાસ કરીને મોરબી અને આસપાસના વિસ્તારની સ્થાનિક પ્રતિભાઓ, કલાકારો અને વિવિધ ક્ષેત્રના લોકો માટે પણ આકાશવાણીનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે.મોરબીને આ મહત્વપૂર્ણ સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેલા માનનીય મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસોથી હવે આ પ્રોજેક્ટ સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.મોરબીના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે.



