MORBI:મોરબીમાં ચોમાસા પહેલાં વીજ વાયરો અંગે કૉંગ્રેસ આક્રમક: PGVCL ને લેખિત રજૂઆત




MORBI:મોરબીમાં ચોમાસા પહેલાં વીજ વાયરો અંગે કૉંગ્રેસ આક્રમક: PGVCL ને લેખિત રજૂઆત

ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મોરબી શહેરમાં ભૂગર્ભ વીજ વાયરોની નબળી કામગીરીને લઈને જનહાનિનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને મોરબી શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પી.જી.વી.સી.એલ. (PGVCL) મોરબીના અધિક્ષક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી-૨ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી, કડિયા બોર્ડિંગ અને વોરબાગ પાસે જી.ઈ.બી. (GEB/PGVCL) દ્વારા નાખવામાં આવેલા ભૂગર્ભ વીજ વાયરો જમીનની તદ્દન ઉપરના ભાગમાં આવી ગયા છે. નિયમ મુજબ આ વાયરો યોગ્ય ઊંડાઈએ હોવા જોઈએ, પરંતુ હાલમાં કડિયા બોર્ડિંગ અને વોરબાગ વિસ્તારમાં વાયરો માત્ર અડધો ફૂટ જેટલી જ જમીનની અંદર છે.
કૉંગ્રેસ પ્રમુખે પત્રમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, હવે ચોમાસુ નજીક આવી રહ્યું છે. જો વરસાદી પાણી ભરાવાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર આ ખુલ્લા જેવા વાયરોમાંથી શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાની ઘટના બને અને કોઈ જનહાનિ થાય, તો તેની સીધી જવાબદારી પી.જી.વી.સી.એલ. તંત્રની રહેશે.
શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર પાસે ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે:નિયમ મુજબ આ તમામ વીજ વાયરોને યોગ્ય રીતે જમીનમાં ઊંડે ઉતારવામાં આવે.જોખમી સ્થળોએ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી આ પ્રશ્નનું કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલી ઝડપથી જાગે છે અને કામગીરી શરૂ કરે છે.



