Rajkot: નેશનલ હાઈવેથી નવાગામ (આણંદપર) એપ્રોચ રોડ પરનો આર્ચ ટાઈપ માઈનર બ્રિજ ભારે વાહનો માટે બંધ
તા.૫/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ભારે વાહનોની આવન-જાવન માટે ડાયવર્ઝન જાહેર કરાયું
Rajkot: નેશનલ હાઈવેથી નવાગામ (આણંદપર) એપ્રોચ રોડ પર આવેલો રાજાશાહી વખતનો આર્ચ ટાઈપ મેશનરી માઈનર બ્રિજ ખરાબ હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ કરેલા આદેશમાં ફરમાવ્યું છે કે, આ બ્રિજની સ્થિતિ ખરાબ હોવાથી ભારે વાહનોની અવર-જવર માટે જોખમી બની શકે છે. આથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, રાજકોટથી નવાગામ (આણંદપર) ગામ તરફ જતા ભારે વાહનો રાજકોટ-કુવાડવા નેશનલ હાઈવે સોખડા સાત હનુમાન ફ્લાય ઓવર બ્રિજ નીચેથી નવાગામ તરફ જઈ શકશે. જ્યારે નવાગામ (આણંદપર) ગામથી કુવાડવા તરફ જવા માટે નવાગામથી રાજકોટ-કુવાડવા નેશનલ હાઈવે તરફ જઈ શકાશે. બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે અને તેનુ ઉલ્લંઘન કરનારા શિક્ષાને પાત્ર ઠરશે. પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આ જાહેરનામું આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.