
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી અને એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 8 તેમજ બાલવાટિકાના કુલ 51 વિદ્યાર્થીઓની આંખોની તપાસ અને હિમોગ્લોબિનની ચકાસણી કરવામાં આવી. તપાસ દરમિયાન 5 વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 11 ગ્રામથી ઓછું હોવાનું તેમજ 1 વિદ્યાર્થીમાં દ્રષ્ટિ સંબંધિત ખામી હોવાનું નિદાન થયું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એનિમિયાના લક્ષણો, તેના નિવારણના ઉપાયો, લોહતત્વયુક્ત પૌષ્ટિક આહારનું મહત્વ તેમજ તબીબી સલાહ મુજબ આયર્નની ગોળી અથવા સિરપના યોગ્ય ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં એનિમિયા ટીમના મિલન પટેલ, પ્રિયંકા ભોયા, વિજયા પવાર અને કૌશિક પટેલ તેમજ વિઝન કેર ટીમના વિશ્રામભાઈ વળવી, નેહાકુમારી પટેલ અને લક્ષ્મીબેન ગામીતે આરોગ્ય તપાસ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સંદેશ આપવામાં આવ્યો કે, “ચાલો, આપણે સૌ એનિમિયાની તપાસ કરાવીએ અને સાથે મળીને આપણા ગામને એનિમિયા મુક્ત બનાવીએ.”



