નર્મદાના ભૂછાડ ગામના બાળક નીલ વસાવાનું RBSK ટીમની મદદથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે હૃદયનું વિનામૂલ્યે સફળ ઓપરેશન
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળક નીલ વસાવા માટે ખરેખર આશીર્વાદરૂપ નીવડી
અમારી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે અમે આવું મોટું ઓપરેશન કરાવી શકીએ પણ સરકારના સહયોગથી વિનામૂલ્યે બાળકનુ હદયનું ઓપરેશનમાં સફળતા મળી અને નવુ જીવન મળ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સહયોગ થકી જન્મે એટલા જીવે, જીવે તે સ્વસ્થ રહે આ સુત્રને સાર્થક કરતી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૧ ટીમો કાર્યરત છે. આ ટીમ થકી આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા ઘરે-ઘરે જઈને ટીમ દ્વારા બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. RBSK થકી ૦ થી ૧૮ વર્ષના બાળકોની (જેનામાં જન્મજાત ખામી, ઉણપ, ગંભીર રોગો તેમજ વિલંબિત વિકાસ વગેરેની) તપાસ, નિદાન તેમજ રીફર કરીને સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામના નીલ ભૂપેન્દ્રભાઈ વસાવાને આર.બી.એસ.કે.ની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. ત્યારે લાભાર્થીના માતા કલાવતીબેન વસાવાએ જણાવ્યુ કે, શરૂઆતમાં અમને ખબર નહોતી કે બાળકને હૃદયની બિમારી છે. જ્યારે પ્રાથમિક શાળા ભૂછાડ ખાતે જિલ્લાની આર.બી.એસ.કે શાળા આરોગ્ય ચકાસણી પ્રોગ્રામ અંતર્ગત આર.બી.એસ.કે ની ટીમ દ્વારા બાળકની તપાસ કરતા ખબર પડી કે બાળકને હૃદયની તકલીફ લાગે છે.
ઓપરેશન પહેલા બાળકને ઘણી મુશ્કેલીઓ થતી હતી. એમના ધબકારા વધી જતા હતાં. ઉંમર પ્રમાણે એમની ઉંચાઈ અને વજન પણ ઘણુ ઓછુ હતું. એના જોડે કોઈ વાત કરીએ એ પણ ભૂલી જતો હતો. બાળકમાં ઘણી બધી નબળાઈઓ જોવા મળતી હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઑપરેશનની જરૂરિયાત જણાઈ પણ અમારી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે અમે ઓપરેશન કરાવી શકીએ. પણ સરકારશ્રીના સહયોગથી વિનામૂલ્યે હદયનું ઓપરેશન સફળ થયુ અને મારા બાળકને નવુ જીવન મળ્યું છે. ઓપરેશન પછી એમનામાં ઘણો જ બદલાવ આવ્યો છે. ઉંચાઈ અને વજનમાં પણ વધારો જોવા મળ્યો છે. અન્ય બાળકોની જેમ સ્ફૂર્તિથી રમે છે, અને મારૂ બાળક તંદુરસ્ત થઈ ગયુ છે. અને નિયમિત શાળામાં જાય છે.
કલાવતીબેને વધુમાં જણાવ્યુ કે, જ્યારથી બાળકને હૃદયની બિમારીનું નિદાન થયું ત્યારથી લઈને ઓપરેશન થયા પછી પણ નર્મદાની આર.બી.એસ.કે ની ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. તે બદલ જિલ્લા આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર સાથે ખુશીની લાગણી અનુભવું છું કે, એમના થકી આજે મારૂ બાળક તંદુરસ્ત છે અને મારી સાથે કુટુંબ પરિવારમાં જીવે છે.
નીલકુમાર ભૂપેન્દ્રભાઈ વસાવાનો જન્મ તારીખ. ૨૦ ડિસેમ્બર ૨૦૧૪ ભૂછાડ ગામમાં થયો હતો. જેમનું ૦૮ મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે હદયનું સફળ ઓપરેશન થયુ હતું. આર.બી.એસ.કે. ટીમના સહકાર અને દરકાર દ્વારા બાળક લાભાર્થીને સરકારની મહત્વની યોજનાનો લાભ લઈ મુશ્કેલીના અંધકારમાંથી બહાર નીકળી એક ઉજ્જ્વળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે. તે માટે જ કહી શકાય કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ બાળક માટે ખરેખર આશીર્વાદરૂપ નીવડી છે.
આર.બી.એસ.કે. અંતર્ગત કામ કરતા મેડિકલ ઓફિસર ડો. તેજલ વસાવાએ જણાવ્યું હતુ કે, અમે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં આંગણવાડીના બાળકોની બે વાર અને શાળાના બાળકોની એક વાર આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોને આવરી લેવામાં આવે છે. અમને જ્યારે ભૂછાડ પ્રાથમિક શાળામાં આરોગ્યની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે નીલ ભુપેન્દ્રભાઈ વસાવા જે ધોરણ ૫ માં અભ્યાસ કરે છે. તેમને શ્વાસોશ્વાસમાં મુશકેલી અને હાફ ચઢી જવાની સમસ્યા જણાઈ જેમાં અમને હૃદય સંબધિત તકલીફનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું હતું.
જેને વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરી પિડીયાટ્રીશન પાસે તપાસ કરાવતા ખ્યાલ આવ્યો કે, હદય સંબધિત તકલીફ ચોક્કસપણે છે. તેથી વધુ રીપોર્ટસ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા અને ત્યાં રિપોર્ટસમાં ખબર પડી કે આ બાળકને ખરેખર હૃદયની ગંભીર તકલીફ છે.
વધુમાં જણાવ્યુ કે, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મંજુરી પ્રાપ્ત સંદર્ભ કાર્ડ સાથે યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર અને ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા. જ્યાં સફળતા પૂર્વક વિનામૂલ્ય હૃદયનું ઓપરેશન થયુ છે અને હાલ બાળક તંદુરસ્ત જોવા મળે છે. આ બાળકનું અમારી ટીમ દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવે છે.
હૃદયનું ઓપરેશનમા સફળતા મળેલ નીલ વસાવાએ ખુશીની લાગણી સાથે જણાવ્યું કે, શાળામા રમતા-રમતા શ્વાસ ફૂલાઈ જતુ હતુ પણ હૃદય ઓપરેશન બાદ આવી કોઈ તકલીફ નથી થતી હવે હુ રમી પણ શકુ છુ, અને દોડી પણ શકુ છુ હવે મને કોઈ તકલીફ નથી એકદમ સારૂ લાગે છે.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા નવજાત શીશુથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી તેમને જરૂરી સારવાર આપવામાં આવે છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં અંદાજિત ૧૩૭૭૧૩ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાં ૧૮ જેટલા બાળકોના હૃદયના ઓપરેશન, જન્મજાત બધીરતા ૪ બાળકોના ઓપરેશન, મોતિયા ૦૧ બાળક ઓપરેશન સફળ રહ્યા છે, ફાટેલા હોટના ૧૯ બાળકો મળી આવ્યા હતાં જેમાંથી ૮ ના ઓપરેશન સફળ રહ્યા છે અને અન્ય સારવાર હેઠળ છે. જ્યારે કલ્બ ફુટ ૨૬ બાળકો, ડાયાબિટીશના ૧૪ તેમજ અન્ય બિમારીના ૪૭ જેટલા બાળકોને સારવાર આપી રહ્યા છે.