
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આંતકવાદીઓનાં હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહીત અન્ય 27 પ્રવાસીઓ માર્યા ગયા હતા.અહી આંતકવાદીઓએ પ્રવાસીઓ ઉપર અંધાધુની ફાયરીંગ કરતા નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા.જે બનાવનાં પગલે હાલમાં સમગ્ર દેશ શોકાતુર બન્યુ છે.ત્યારે કેન્દ્ર સરકારે દેશભરનાં રાજ્યોમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરેલ અસામાજિક તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.જે અન્વયે ડાંગ જિલ્લાની પોલીસ પણ એલર્ટ મોડમાં દેખાઈ રહી છે.
ગતરોજ ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય ઇસમોનાં દસ્તાવેજોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકના પી.આઈ. આર.એસ.પટેલ અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા સાપુતારાની તમામ હોટલો, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે,રિસોર્ટમાં કામ કરતા તેમજ ઘોડાસવારી અને ઊંટ સવારી કે સાપુતારામાં અન્ય ધંધા સાથે જોડાયેલ પરપ્રાંતીય લોકોને બોલાવી તેમની પૂછપરછ કરી હતી.પોલીસ દ્વારા કરવામાં આવેલી આ વિસ્તૃત તપાસ દરમિયાન સાપુતારા ખાતે કોઈ પણ અન્ય દેશનો શંકાસ્પદ ઇસમ મળી આવ્યો નથી.પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ પ્રવાસન સ્થળ એવા સાપુતારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.આ સરપ્રાઈઝ ચેકિંગથી સ્થાનિક લોકો અને પર્યટકોમાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની હતી..




