ચીખલી નારી સંરક્ષણ કેન્દ્ર એ પોંડેચેરીરના રહેવાસી અસ્થિર મગજના બહેન અને તેના દિકરાનું પરિવાર સાથે મિલાપ કરાવ્યું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૮: ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી,નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે ૧૮ થી ૫૯ ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે.
નવસારી જિલ્લાની નારી સંરક્ષણ કેંદ્ર,ખુંધ,ચીખલી,ખાતે આશ્રિત બહેન સવિથા ઉર્ફે સૌમ્યા અને બાળક-દિવ્યતરૂનને તાજેતરમાં સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય હેઠળ મુકવામાં આવ્યા હતા. આશ્રિત બહેન માનસિક અસ્થિર મગજના હતા. આશ્રિત બહેન છેલ્લા ૧ માસથી અત્રે નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ ચીખલીમાં આશ્રય લઇ રહ્યા હતાં. આશ્રિત બહેન માનસિક અસ્થિર મગજના હોવાથી તેમના પુત્ર સાથે ઘરેથી નિકળી ગયા હતા.આશ્રિત બહેનને વારંવાર પોતાનું સરનામું તથા ટેલિફોન નંબર પુછતા તેઓ દ્વારા અલગ અલગ સરનામું તેમજ ટેલિફોન નંબર આપતા હતા.જેમાથી એક ટેલિફોન નંબર તથા સરનામું તેમના પિયરનું હોવાનું માલુમ પડયુ હતું.જે ટેલિફોન નંબર પર સંપર્ક કરતા આશ્રિત બહેનના માતા સાથે સંપર્ક થઇ શક્યો હતો.
જેથી આશ્રિતના પરિવાર સાથે વાતચિત કરતા તેઓ પોંડેચેરીરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોંડેચેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધણીની ખરાઇ કરવામાં આવી હતી. નારી સંરક્ષણ કેંદ્રના કમિટિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રીની રૂબરૂ મુલાકાત કરાવી એમની હાજરીમાં આશ્રિત બહેન અને બાળકનો કબ્જો પોંડેચેરી પોલીસ અને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
માનસિક અસ્થિર મગજના બહેન અને તેઓના દિકરાને સહિસલામત પરિવાર સાથે મિલાપ કરવા બદલ કલેકટરશ્રી દ્વારા પણ નારી સંરક્ષણ કેંદ્રની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી.અને થવલકુપ્પમ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને આશ્રિત બહેનના પરિવાર દ્વારા નારી સંરક્ષણ કેંદ્રના સ્ટાફ અને જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.