નવસારી જિલ્લામા સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાશે,રાત્રે ૦૮થી ૮.૩૦ બ્લેકઆઉટ કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી, તા.૨૮: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા.૨૯-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૦૫ વાગ્યાં થી ૦૮ વાગ્યાં સુધી કરાયું છે.
આ સાથે, તૈયારી સ્વરૂપે, સાંજે ૦૮.૦૦ થી ૦૮:૩૦ વાગ્યાં દરમ્યાન હવાઈ હુમલો (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડ્રિલ યોજાશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં તથા આ સમય દરમિયાન રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો લાઇટ બંધ કરી ગાડીઓ સલામતી પૂર્ણ રસ્તાની સાઇડમાં પાર્ક કરી દે તથા દુકાનદારો અને સ્ટોરના માલિકો નિયોન કલરના બોર્ડને ઢાંકી દેવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.