પંચમહાલ જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમ નાબૂદી ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ

*પંચમહાલ શહેરા:-
- નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમયોગી પ્રથા નાબૂદી અર્થે સરકારી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોધરા તાલુકાના સાંપા રોડ પર, ગોવિંદી બ્રાન્ચ, એક્સીસ બેન્કની બાજુમાં આવેલ “વરૂણ બેકર્સ” નામની સંસ્થા ખાતે બાળ શ્રમયોગી પ્રથા નાબૂદીની સંયુક્ત ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સદર સંસ્થામાંથી એક તરૂણ શ્રમયોગી વિવેકકુમાર (ઉંમર વર્ષ: ૧૭) ગેરકાયદેસર રીતે કામ કરતો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તરૂણ શ્રમયોગીને દૈનિક માત્ર રૂપિયા ૫૫૦/- રોકડા ચૂકવી તેનું શોષણ કરવામાં આવતું હતું, તેમજ નિયમ અનુસાર તેને કોઈ હાજરી કાર્ડ કે પગાર ચીઠ્ઠી પણ આપવામાં આવતી ન હતી. સંયુક્ત ટીમ દ્વારા સદર તરૂણને ત્વરિત મુક્ત કરાવી આગળની પુનઃવસન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આશ્રિત તરૂણ અને પરિવારના પુનઃવસન માટેના પગલાં
મુક્ત કરાયેલા તરૂણના ઉજ્જવળ ભવિષ્ય માટે વહીવટી તંત્ર દ્વારા બેવડી પુનઃવસન કામગીરી શરૂ કરવામાં આવી છે.તરૂણના આગળના શિક્ષણ તથા આર્થિક પુનઃવસન માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત સંસ્થા અને માલિક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
આ સફળ સંયુક્ત કામગીરીમાં સરકારી શ્રમ અધિકારીશ્રી પી. કે. બારીઆ, સમાજ સુરક્ષાની કચેરી (ગોધરા) વતી ચિરાગ યુ. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી (ગોધરા) ના સામાજિક કાર્યકર વણકર મિનાક્ષીબેન પરમાર, તેમજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ (ગોધરા) ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જયકુમાર સહિતની ટીમ સક્રિયપણે જોડાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્ર અને શ્રમ વિભાગ દ્વારા જાહેર જનતા અને વેપારી આલમને અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ સંસ્થામાં બાળ કે તરૂણ શ્રમયોગી રાખવા એ કાયદાકીય ગુનો છે અને આ બાબતે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.
0000







