કાલોલ મા કોન્ટ્રાક્ટરો ને ઘી કેળા. બે માસના ગાળામા જ કરોડો ના ખર્ચે બનેલો દોલતપુરા રોડ અને કોઝવે ધોવાયો.કરોડોના કામની ગુણવત્તા સામે સવાલ.

તારીખ ૦૫/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર બની ગયો હોય તેવી હકીકત રેકર્ડ પર આવી ગઈ છે. કાલોલ તાલુકાના દોલતપુરા ગામે થી આગળ થઈ મેદાપુર ને જોડતો રોડ અને કોઝવે જે હાલમાં જ બે મહિના પહેલા બનાવવામાં આવ્યો છે. રૂ બે કરોડ ઉપરાંત ના ખર્ચે બનેલો આ કોઝવે અને રસ્તામાં આવતા પાંચ નાળા તકલાદી કામ ને લઈને પહેલાજ વરસાદે ધોવાઈ ગયા છે. પહેલાજ વરસાદે કોઝ વે ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરે માટી પુરાણ કરી પોતાનું પાપ છુપાવવા પ્રયત્ન કર્યો હતો જે બાદ ગઈકાલે વરસેલા વરસાદમાં નાળા અને કોઝવે ની સાઈડમાં પૂરેલ પુરાણ ધોવાઈ જતા મોટા મોટા ખાડા બહાર આવી ગયા છે. રસ્તા ઉપર રોડ બનાવતા અગાઉ કોઈ પણ પ્રકારના મેટલ કે કપચી નાખવાના આવી નથી અને આ રોડ સીધો જમીનને સમાંતર બનાવી દેવામાં આવ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ એ કમ્પ્લિશન સર્ટિફિકેટ કેવી રીતે આપ્યુ? તે પણ પ્રશ્ન ઉઠ્યો છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના લોકો ના ઉપયોગ માટે બનાવાયેલ આ રોડ કોઝ્વે અને નાળા ઉપર આજે એક જેસીબી સાથે પાંચ હાઈવા માટી ભરી લાવી કોન્ટ્રાક્ટરે પુરાણ કરવા પ્રયત્ન કર્યો હતો પણ મીડિયા ની ટીમ પહોંચી જતા દોલતપુરા ગામ પાસે ચાર હાઈવા થોભાવી દીધા હતા જ્યારે એક હાઈવા કોઝવે નજીક આવી ઊભું કરાવી દીધું હતું કારણકે કોઝવે ઉપર થી જો માટી ભરેલું હાઈવા પસાર થાય તો આખો કોઝવે હાઈવા સમેત બેસી જાય તેવી પરિસ્થિતિ ઉભી થતી હતી. કોઝવે ઉપર એકદમ હલકી કક્ષાનું પ્લાસ્ટર કર્યું છે જેને કારણે હજુ પણ લોખંડની ખીલીઓ દ્રશ્યમાન થાય છે.ચારેવ બાજુ ખુલ્લી જગ્યા છોડી કોઝવે ઊભો કરવામાં આવ્યો હોવાથી ઝુલતા પુલ સમાન કોઝવે દેખાઈ આવે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. દરરોજ આ રોડ ઉપર થી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો ની કોઈ ચિંતા કર્યા વગર જ કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ અને કોઝવે સહિત તકલાદી નાળા બનાવવામાં આવ્યા છે હવે માટી નાખી ઉપર લિપાપોથી કરવામાં આવી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી ભાગબટાઈ ના પાપે ગરીબ જનતાને જ સહન કરવાનું થશે તે તો સમય આવે જ ખ્યાલ આવશે.








