વિજાપુર પિલવાઈ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ કોલેજ ખાતે કોલેજ ના હોલ માં જિલ્લા રોજગાર કચેરી, મહેસાણા શ્રી એન આર રાવલ આઇ ટી આઇ તથા શ્રી યુ પી આર્ટ્સ, શ્રીમતી એમ જી પંચાલ સાયન્સ અને શ્રી વી એલ શાહ કોમર્સ કોલેજ, પીલવાઈના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર ભરતી મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળના મંત્રી પ્રવીણભાઈ વ્યાસ તથા મુકેશકુમાર વિહોલ ઉપસ્થિત રહ્યા હતા. આઈ.ટી.આઈના સુપરવાઇઝર હેતલ ત્રિવેદીએ સૌને આવકારતા સંસ્થાનો પરિચય આપ્યો હતો. આઈ.ટી.આઈ ના ત્રણેય ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તેજસ્વી તાલીમાર્થીઓનું સર્ટિફિકેટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય ડો સંજય શાહે રોજગાર કચેરીના અધિકારીઓ તથા કંપનીઓનો આભાર માની ઉમેદવારોને પસંદ થવા માટે શુભેચ્છાઓ આપી હતી. રોજગાર અધિકારી દિપકભાઈ પરમારે રોજગાર કચેરીની કામગીરી જણાવી હાજર કંપનીઓ તથા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મંડળના મંત્રી મુકેશકુમાર વિહોલે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું અને આવા રોજગાર મેળા યોજવા બદલ સંસ્થાને બિરદાવી હતી. આ ભરતી મેળામાં પાંચ કંપનીઓ દ્વારા ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ધોરણ 12 પાસ થયેલા નોકરી મેળવવા ઈચ્છુક 126 ઉમેદવારો હાજર રહ્યા હતા. કંપનીઓ દ્વારા 98 ઉમેદવારોની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.