વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે.આ હુમલાની તીવ્ર પ્રતિક્રિયા સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે,ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને વઘઈમાં પણ તેનો પડઘો સ્પષ્ટ રીતે અનુભવાયો હતો.આહવાના રસ્તાઓ પર અચાનક પાકિસ્તાનના ઝંડાનાં ચિત્રો અને પાકિસ્તાન વિરોધી સૂત્રો જોવા મળ્યા હતા.આહવા ખાતે સ્થાનિક લોકોએ સ્વયંભૂ રીતે રસ્તાઓ પર ઉતરી આવીને પોતાના આક્રોશને વાચા આપી હતી.તેમણે રસ્તાઓ પર પાકિસ્તાનના ઝંડા દોર્યા હતા અને તેના પર “પાકિસ્તાન મુર્દાબાદ” જેવા નારા લખીને પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલાથી સ્થાનિકો અત્યંત દુઃખી અને ગુસ્સે છે.પાકિસ્તાન દ્વારા સતત આવી આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે,જેના કારણે દેશની શાંતિ અને સલામતી જોખમાય છે.આહવાનાં રસ્તાઓ પર આ રીતે સૂત્રો લખીને સ્થાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરી આતંકવાદીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી.સ્થાનિક લોકોના આ સ્વયંભૂ વિરોધ પ્રદર્શને પહેલગામના હુમલા પ્રત્યે ડાંગ જિલ્લાના લોકોની સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમને સ્પષ્ટપણે દર્શાવ્યો હતો.આ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે દેશના કોઈપણ ખૂણે થતી આવી ઘટનાઓ સમગ્ર દેશવાસીઓને એક તાંતણે બાંધી રાખે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. હાલમાં આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહી છે, પરંતુ જિલ્લાનાં લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે..