ગુમ થયેલી કિશોરીનું પરિવાર સાથે મિલન:અંકલેશ્વરથી રસ્તો ભૂલી વાલીયા પહોંચેલી કિશોરીને પોલીસે શોધી, દાદી સાથે મિલાપ કરાવ્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. અંકલેશ્વરથી ગુમ થયેલી કિશોરીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે. પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી અજયકુમાર મીણાની સૂચના અનુસાર વાલીયા પોલીસે આ કામગીરી કરી છે.
વાલીયા પોલીસ સ્ટેશનમાં રૂંધા ગામના સરપંચનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગામમાં એક અજાણી છોકરી આવી છે. તે પોતાનું નામ-સરનામું યોગ્ય રીતે જણાવી શકતી નથી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. તોમરના માર્ગદર્શન હેઠળની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ.
પૂછપરછમાં જાણવા મળ્યું કે કિશોરીનું નામ સંજના સંજય વસાવા છે. તે અંકલેશ્વરના ગડખોલ પાટીયા બ્રીજની નીચે દાદી સાથે રહે છે. સંજના બે દિવસ પહેલા કોઈના ઘરે જવા નીકળી હતી. પરંતુ રસ્તો ભૂલી જતાં ચાલતી-ચાલતી વાલીયા તાલુકા સુધી પહોંચી ગઈ હતી.
વાલીયા પોલીસે ગડખોલ પાટીયા વિસ્તારમાં જઈને કિશોરીના વાલી મીના તેરસિંગ વસાવાનો સંપર્ક કર્યો. દાદીએ પોતાની પૌત્રીની ઓળખ કરી અને કિશોરીએ પણ દાદીને ઓળખી. ખાતરી બાદ પોલીસે કિશોરીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. સમાજમાં પોલીસની આ માનવતાપૂર્ણ અને સતર્ક કામગીરીની પ્રશંસા થઈ રહી છે.