ANANDANAND CITY / TALUKOGUJARAT

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ગુમ થયેલું ૧૫ હજાર રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને સહી-સલામત પરત કરાયું

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ગુમ થયેલું ૧૫ હજાર રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને સહી-સલામત પરત કરાયું*

 

તાહિર મેમણ – આણંદ – 15/07/2026 – અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વાસદ ટોલ પ્લાઝા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ નૈતિકતા અને ઈમાનદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાઈવે પરથી પસાર થતી ગાડી નંબર GJ01 WA 2967 ના માલિકનું પર્સ અકસ્માતે ટોલ પર પડી ગયું હતું. આ પર્સમાં ૧૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ સહિત અત્યંત મહત્વના દસ્તાવેજો રહેલા હતા. ટોલ પ્લાઝાના જાગૃત કર્મચારીઓને આ પર્સ મળી આવતા, તેમણે તુરંત તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી અને તેને સુરક્ષિત રીતે ઓફિસમાં જમા કરાવ્યું હતું.

 

પર્સમાં રહેલા દસ્તાવેજોની તપાસ દરમિયાન તેમાં માલિકના સંપર્કની વિગતો મળી આવી હતી. આ વિગતોના આધારે વાસદ ટોલના જનરલ મેનેજર શ્રી રાકેશભાઈ તેમજ કર્મચારી શ્રી કૈલાશભાઈએ તાત્કાલિક પર્સના મૂળ માલિકનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન તેઓને જાણ કરવામાં આવી હતી કે તેમનું કિંમતી પર્સ વાસદ ટોલ પર સુરક્ષિત છે, જેમાં તમામ રોકડ રકમ અને દસ્તાવેજો અકબંધ છે. પર્સ માલિકે આ માહિતી બદલ કર્મચારીઓનો આભાર માની પોતે ત્રણ દિવસ બાદ પરત ફરતી વખતે પર્સ લઈ જશે તેવી જાણકારી આપી હતી.

 

પર્સના માલિક વાસદ ટોલ પ્લાઝા ખાતે આવી પહોંચ્યા હતા. જનરલ મેનેજર રાકેશભાઈ અને કૈલાશભાઈએ તમામ જરૂરી ખરાઈ કર્યા બાદ, ૧૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને તમામ અગત્યના ડોક્યુમેન્ટ્સ સહી-સલામત રીતે મૂળ માલિકને સુપરત કર્યા હતા. પોતાની અમાનત પરત મેળવતા માલિકે આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

 

આ પ્રસંગે પર્સના માલિકે વાસદ ટોલ પ્લાઝાના તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે લોકોની નૈતિકતામાં ઘટાડો જોવા મળે છે, ત્યારે આવા નિષ્ઠાવાન કર્મચારીઓના કારણે સમાજમાં હજુ પણ માનવતા અને પ્રમાણિકતા જીવંત છે તે સાબિત થાય છે.

Back to top button
error: Content is protected !!