GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૩ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ: ‘સ્વતંત્ર પ્રેસ’ સામે એ.આઈ.નો નવો પડકાર

તા.૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: સંદીપ કાનાણી

આ વર્ષની થીમ છે: “નવી દુનિયા: પ્રેસ સ્વાતંત્ર્ય અને મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રભાવ”

Rajkot: લોકશાહી દેશમાં સ્વતંત્ર પ્રેસ-મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. પ્રેસ એ માહિતીના આદાન પ્રદાનની સાથે લોકોના પ્રશ્નોને વાચા આપે છે, તેમજ લોકમતનું ઘડતર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પત્રકારો અનેક પડકારોનો સામનો કરીને માહિતીને સમાચાર સ્વરૂપે વિવિધ માધ્યમો થકી લોકો સુધી પહોંચાડે છે. પ્રેસની આ ભૂમિકાને ધ્યાનમાં રાખતા દુનિયામાં ૩ મેના રોજ “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ” મનાવવામાં આવે છે, જેની આ વર્ષની થીમ છે: “નવી દુનિયા: પ્રેસ સ્વાતંત્ર્ય અને મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પ્રભાવ.”

AI પત્રકારત્વ ક્ષેત્ર-મીડિયા ઈન્ડસ્ટ્રીમાં મોટાપાયે પરિવર્તન લાવી રહ્યું છે. ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ, કન્ટેન્ટ જનરેશન અને ફેક્ટ ચેકીંગ માટે AIનો ઉપયોગ વધી રહ્યો છે. AIથી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થઈ રહી છે, બહુભાષી સુલભતા અને ડેટા વિશ્લેષણ સરળ બન્યા છે. જો કે, આ પ્રગતિથી અનેક જોખમો ઊભા થયા છે. કોઈ મલિન ઈરાદા કે સ્વાર્થી હિતો પાર પાડવા આજે AI-જનરેટેડ ખોટી માહિતી, ડીપફેક ટેક્નોલોજી, પક્ષપાતભર્યા અભિપ્રાયો-તારણોથી લોકો ગેરમાર્ગે દોરાઈ તેવી શક્યતા છે. ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે’ આ વર્ષે એ બાબત પર ભાર મુકવામાં આવશે કે, AI પ્રેસ સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવે, નબળું નહીં.

– કેવી રીતે થઈ આ દિવસની શરૂઆત?:

વર્ષ ૧૯૯૧માં આફ્રિકાના પત્રકારો દ્વારા પ્રેસની સ્વતંત્રતા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ૩ મેના રોજ ‘ડિક્લેરેશન ઓફ વિન્ડહોક’ બહાર પાડવામાં આવ્યું હતું. જેને સ્વતંત્ર પ્રેસના મૂળભૂત સિદ્ધાંતોનું નિવેદન ગણવામાં આવે છે.

આ ઘોષણાની બીજી વર્ષગાંઠ નિમિત્તે, વર્ષ ૧૯૯૩માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ૩ મે “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ” તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી, આ દિવસ પ્રેસની સ્વતંત્રતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સરકારોને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવાની તેમની ફરજ યાદ અપાવવા માટે વિશ્વભરમાં મનાવવામાં આવે છે.

“પ્રેસ સ્વતંત્રતા દિવસ” સમગ્ર વિશ્વમાં પ્રેસની સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો, માધ્યમોને તેમની સ્વતંત્રતા પરના હુમલાઓથી બચાવવાનો અને ફરજ બજાવતી વખતે પોતાના પ્રાણ ગુમાવનારા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે.

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસના અવસરે, ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ, યુ.એન. સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે જારી કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે, પ્રેસ સ્વતંત્રતા લોકોની સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ છે અને તે જવાબદારી, ન્યાય, સમાનતા અને માનવ અધિકારોને આધાર આપતું આવશ્યક જાહેર હિત છે. તેમણે વૈશ્વિક સ્તરે પત્રકારો સામે વધી રહેલા જોખમો જેવા કે હુમલા, અટકાયત અને હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને ગાઝા જેવા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પત્રકારોના મૃત્યુ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આ વર્ષની થીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઊભા થયેલા જોખમ તરફ ઈશારો કરે છે. એ.આઈ. પક્ષપાતી અલ્ગોરિધમ્સ, જૂઠાણા અને દ્વેષપૂર્ણ ભાષણ દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટેકો આપી શકે છે અથવા તો તેને દબાવી પણ શકે છે.

ગુટેરેસે સંદેશમાં ભાર મૂક્યો છે કે, આ જોખમોનો સામનો કરવા માટે સચોટ, હકીકત-આધારિત માહિતી મહત્વની છે. તેમણે ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ અને “માહિતી ઐક્ય માટે વૈશ્વિક સિદ્ધાંતો”ને જરૂરી ગણાવ્યા છે. આ સાથે વધુ માનવીય અને અધિકારોનું સન્માન કરતી માહિતી ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના પગલાં તરીકે વિશ્વભરમાં પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં બંધારણની કલમ ૧૯(૧)(અ) હેઠળ દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મળેલું છે. જેમાં પ્રેસની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. આ કલમ હેઠળ દરેક નાગરિક પોતાની માન્યતા મુજબનો મત રજુ કરવાનો અધિકાર ધરાવે છે. તેને પોતાના અથવા અન્યનાં મતનો પ્રચાર કરવો, અખબારોનો ફેલાવો કરવો, ધંધાકીય જાહેરાતો આપવી, ટેલીકાસ્ટ કરવું, માહિતી અધિકાર, છાપવું વગેરેનો અધિકાર છે. જો કે અદાલતનો તિરસ્કાર, દેશની અખંડિતતાને હાનિ થાય, વિદેશ સાથે દેશના મૈત્રી સંબંધો ઉપર અસર થાય, રાષ્ટ્રની સલામતી જોખમાય, ગુનાની ઉશ્કેરણી થાય, જાહેર વ્યવસ્થા કે સલામતી બગડે તેવી બાબતો ઉપર વ્યાજબી નિયંત્રણ મુકવાની સત્તા રાજ્યને આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!