GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ગ્રામ્યમાં ૩૧ જૂન સુધી ‘ઝાડા નિયંત્રણ પખવાડિયું’ ઉજવવાનું આયોજન

તા.૧૭/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

બાળકોને ઝાડાની સારવાર માટે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી આપવા અનુરોધ

Rajkot: દેશમાં વર્ષે ૧.૨૦ લાખથી વધારે બાળકો ઝાડાના કારણે મૃત્યુ પામે છે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ઝાડાના લીધે મૃત્યુ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આર્થિક રીતે પછાત પરિવાર, ઝુંપડપટ્ટીઓ, સ્લમ વિસ્તારના બાળકો સૌથી વધારે ઝાડાના રોગથી પ્રભાવિત થાય છે. આથી, ઝાડાના રોગથી બચવા માટે બાળકોને ઓ.આર.એસ. (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન), ઝીંક ટેબલેટની સાથે પૂરતો, સ્વચ્છ, પોષણયુક્ત પૌષ્ટિક આહારનું પ્રદાન સુનિશ્ચિત કરવાથી શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષારનું પ્રમાણ જાળવી શકાય છે. સ્વચ્છ પાણી, સ્તનપાન, યોગ્ય પોષક આહાર, સ્વચ્છ વાતાવરણ, હાથ ધોવાની આદત વગેરે થકી પણ ઝાડા અટકાવી શકાય છે.

બાળકોમાં ઝાડાના કારણે થતા મૃત્યુનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને નિયંત્રિત કરવા માટે વર્ષ ૨૦૧૪થી ‘સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું’ (આઈ.ડી.સી.એફ.)ની ઉજવણી કરાય છે. આ વર્ષે તા. ૧૬ જૂનથી તા. ૩૧ જૂન દરમિયાન સઘન ‘ઝાડા નિયંત્રણ પખવાડિયું’ ઉજવવાનું આયોજન કરાયું છે. જેનો ઉદ્દેશ જન્મથી ૦૫ વર્ષના બાળકોના થતાં મૃત્યુના કારણમાં જોવા મળતાં ૧૫%ના દરને શૂન્ય કરવાનો છે, બાળકોને ઝાડાની સારવારમાં ઓ.આર.એસ.અને ઝીંકનો વપરાશ વધારવો તથા ૦૫ વર્ષથી ઓછી વયના બાળકોમાં થતા ઝાડાના નિયંત્રણ અને સારવારને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા હેઠળ ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૨૯૭ આયુષ્માન આરોગ્ય મંદિર અને તેમના સેજાના ગામોમાં ‘સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા’ની ઉજવણી કરાઈ રહી છે. આ દરમિયાન ઝાડાની બીમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સ્તરે સજાગતા કેળવવાની વિવિધ પ્રવૃત્તિઓ તથા ઝાડાની બીમારીની સારવાર, ઓ.આર.એસ. ઝીંક કોર્નર બનાવાયા છે. આશા બહેનો દ્વારા પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના ઘરે ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરાય છે. આરોગ્ય કાર્યકરો દ્વારા આરોગ્ય કેન્દ્રો ખાતે મમતા દિવસે ઝાડા નિયંત્રણ માટે ઓ.આર.એસ. અને ઝીંક આપવાની સાચી રીત અને હાથ ધોવાની સાચી રીત અને ૦૬ માસ સુધી ફકત સ્તનપાન અંગે માર્ગદર્શન અપાય છે. જનસમુદાય માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જાગૃતિ કેળવવા માટે આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો જહેમત ઉઠાવી રહ્યાં છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીએ જણાવ્યું હતું કે ઝાડા દરમિયાન ઓ.આર.એસ. અને ઝિંકની ગોળીઓ આપવી જરૂરી છે. માતાનું દૂધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખવું જોઈએ. ૧૪ દિવસ સુધી બાળકને ઝિંકની ગોળીઓ આપવી જોઈએ. બાળકોને ઝાડાની સારવાર બાળકના મળનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવો જોઇએ. સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી વધારે માત્રામાં પ્રવાહી પણ આપવાનું ચાલુ રાખવું જોઇએ. શુદ્ધ પાણીનો પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા, બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી હાથ સાબુ વડે ધોવા જોઇએ. બાળકોને ઝાડા થયા હોય ત્યારે ઓ.આર.એસ. અને ઝીંકની સારવાર માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ છે.

Back to top button
error: Content is protected !!