
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી હેઠળ લાભાર્થીઓને શૌચાલયના મંજૂરી પત્રકો અપાયા.
ભુજ,તા-૧૯ નવેમ્બર : કચ્છ કલેકટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ વોટર અને સેનીટેશન મિશનની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે “ આપણું શૌચાલય : આપણું સન્માન” અભિયાન અંતર્ગત ૧૦ ડીસેમ્બર સુધી થનારા વિવિધ કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓના આયોજન અંગે ચર્ચા કરાઇ હતી.ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ “વિશ્વ શૌચાલય દિવસ” નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારૂ અમલીકરણ માટે સૂચનો જાહેર કરાયા છે, ત્યારે તે અંતર્ગત તા. ૧૯ નવેમ્બર “ વિશ્વ શૌચાલય દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે તા. ૧૦ ડીસેમ્બર સુધી જિલ્લામાં વિશેષ ઝુંબેશ આદરાશે જેમાં કચ્છમાં વ્યાપક જનભાગીદારી અને નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહન આપવા અને ઝુંબેશના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે સમુદાય જૂથો, શૈક્ષણિક સંસ્થાઓ તથા એનજીઓને સક્રિયપણે સામેલ કરીને શૌચાલય સ્વચ્છતા, શિબિરો, જાગૃતિ કાર્યક્રમ તથા ગ્રામ્યકક્ષાએ આયોજિત પ્રવૃતિઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આ અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખએ જણાવ્યું કે, સરકારશ્રીની ગાઇડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી અને તેને ફરી કાર્યરત કરવામાં આવશે. પાણી, દરવાજાનું સમારકાર, વીજળી વગેરે સુવિધાઓ પુરી પાડવામાં આવશે. વિવિધ સંસ્થાઓમાં શૌચાલયની જરૂરિયાત માટે સર્વે કરી CSR અથવા ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ શૌચાલય બનાવવાનું આયોજન હાથ ધરાશે.વધુમાં ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવી, OTA ગ્રાન્ટનો ઉપયોગ કરીને CSCs અને સંસ્થા કે શૌચાલયનું રીટ્રો ફીટીંગ કરાવવું વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવશે.બેઠકમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને કલેકટરશ્રીના હસ્તે શૌચાલયના મંજૂરી પત્રકો આપવામાં આવ્યા હતા.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ડીડબલ્યુએસએમ સમિતિના સભ્યો તથા સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





