GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છમાં “સેવાકીય કાર્યોની સંક્રાંતિ”: રાજકોટમાં સેવા ભારતી ભવન”નું થયું લોકાર્પણ

તા.૧૫/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીએ “સેવા ભારતી ભવન”ને જનસેવામાં સમર્પિત કર્યું

“વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી માનવતાના સંવર્ધનનું મહા અભિયાન સંઘ દ્વારા ચાલી રહ્યું છે”: શ્રી દત્તાત્રેય હોસબોલે

સેવા ભારતી ભવન માટે અનુદાન, સમયદાન આપનારા દાતાઓનું સન્માન કરાયું

નવનિર્મિત સેવા ભવનમાં મકરસંક્રાંતિના દિવસથી ૧૫ સેવા પ્રકલ્પોનો મંગલ પ્રારંભ

Rajkot: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીના હસ્તે આજે રાજકોટમાં સેવા ભારતી- ગુજરાતના નવનિર્મિત “સેવા ભારતી ભવન પ્રાંત કાર્યાલય”નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે મહાનુભાવોના હસ્તે આજથી જ ૧૯માંથી ૧૫ સેવા પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી. આ તકે સેવા ભારતી ભવન માટે અનુદાન, સમયદાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.

મકર સંક્રાંતિના પાવન પર્વે સૂર્યની પહેલી કિરણ સાથે રાજકોટમાં અમુલ સર્કલ નજીક બનેલા સેવા ભારતી ભવનનો લોકાર્પણ સમારોહ શરૂ થયો. સવારમાં કળશ સ્થાપન સાથે સમરસતા યજ્ઞ શરૂ થયો. ત્યારબાદ સેવા ભારતી ભવનના પહેલા માળે ઓડિટોરિયમ ખાતે સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીની અધ્યક્ષતામાં લોકાર્પણ સમારોહ શરૂ થયો. આ તકે શ્રી દત્તાત્રેયજી હોસબોલેએ સંબોધનમાં કહ્યું હતું કે, સેવા ભારતીનું કાર્ય અહીં અત્યારે શરૂ થયેલા ૧૯ પ્રકલ્પો રોકાવાનું નથી. એ સતત ચાલતું રહેવાનું છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે સમાજ માટે કોઈ સેવા કાર્ય શરૂ થાય છે ત્યારે તેમાં નાગરિકોનો સતત સહયોગ મળતો રહે છે. આ સહયોગ કોઈ દાન આપવાના ભાવ સ્વરૂપે નહીં પણ સમાજમાં પોતાની ભૂમિકા નિભાવવાના હેતુથી લોકો કરતા હોય છે. આ રીતે સમાજસેવારૂપી યજ્ઞમાં લોકો સમર્પણરૂપી સમિધની આહુતિ આપતા હોય છે. હાલ સંઘનું શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે, આ સાથે હાલમાં પૂર્ણ મહાકુંભનો પ્રયાગરાજમાં પ્રારંભ થયો છે, તેમજ આજે મકરસંક્રાંતિ પણ છે. આમ અનોખા ત્રિવેણી સંગમે સેવા ભારતી ભવનનું લોકાર્પણ એક યાદગાર સ્મૃતિ બની રહેશે.


સેવા માટે તેમણે સંવેદના, કર્તવ્ય ભાવ તેમજ સમાજ માટે પોતાપણાનો ભાવ મહત્વના ગણાવ્યા હતા. આ સાથે સ્વામી વિવેકાનંદજીને યાદ કરતા કહ્યું હતું કે, સ્વામીજીએ સેવા અને ત્યાગને ભારતીય અધ્યાત્મના બે મહાન આદર્શો ગણાવ્યા હતા. સેવા ભારતીનો પ્રારંભથી આ જ ધ્યેય રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, સંઘના સ્વયંસેવકો કોઈ ભવન કે યુનિવર્સિટીમાં સેવાકાર્યો શીખ્યા નથી પરંતુ શાખામાં રમતા રમતા આ સમાજને પોતાનો ગણીને પ્રેમભાવથી સેવા કરતા રહે છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે બહારના ઉપકરણો કરતા અંદરનું સત્વ વધુ મહત્વનું છે. અંદરનું સત્વ જગાડીને સેવા કાર્ય શરૂ થાય, પછી તેમાં બહારના સંસાધનો અને ઉપકરણો આપમેળે જોડાતા જાય છે. સમાજ માટે જ્યારે સેવા કરીએ ત્યારે તેનું મૂલ્યાંકન જરૂરી છે. તેનાથી ગુણવત્તામાં વધારો થાય અને સેવા કાર્ય વધુ અસરકારક રીતે થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, આપણે બધા એક રાષ્ટ્ર છીએ આ ભાવ આપણામાં આવવો જોઈએ. આપણી પાસે જે કૌશલ્ય, જ્ઞાન, શિક્ષણ, સમય વગેરે વસ્તુઓ વહેંચીને સેવા કાર્ય કરવા જોઈએ. વર્તમાન સમયમાં તેમણે સમાજ નિર્માણ માટે ચરિત્ર નિર્માણને આવશ્યક ગણાવ્યું હતું. વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી માનવતાના સંવર્ધનનું મહા અભિયાન સંઘ દ્વારા ચાલી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મહત્વનું છે કે, આજે સેવા ભારતી ભવનના પ્રારંભની સાથે જ ૧૫ જેટલા સેવા પ્રકલ્પોની મહાનુભાવોના હસ્તે શરૂઆત કરવામાં આવી.

કાર્યક્રમના પ્રારંભે સેવા ભારતીના ટ્રસ્ટી અને વિભાગ સંઘચાલક ડૉ. સંજીવ ઓઝાએ સ્વાગત પ્રવચન સાથે સેવા ભારતીનો પરિચય આપ્યો તેમ જ સૌનો આભાર પ્રગટ કર્યો. દીપ પ્રાગટ્ય બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટમાં ચાલતા સેવા કેન્દ્રમાંથી સંસ્કારીત થયેલી બાલિકાઓએ શ્લોક ગાન કર્યું.

આ કાર્યક્રમમાં રાજકોટના પ્રથમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પશ્ચિમક્ષેત્ર સંઘ ચાલક તથા સેવા ભારતી ગુજરાતના અધ્યક્ષ ડૉ. જયંતીભાઈ ભાડેશીયા, તેમજ સેવા ભારતી ગુજરાત ના મંત્રી શ્રી ગિરીશ ભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ દવે અને નારણ ભાઈ વેલાની ઉપસ્થિત રહ્યા

સમાજ ના અન્ય વિશેષ મહાનુભાવો ક્ષેત્ર પ્રચારક ડૉ. ચિંતનભાઈ ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ, પ્રાંત કાર્યવાહ શ્રી મહેશભાઈ ઓઝા, પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી, પ્રાંત કાર્યકારીણીના મુખ્ય સદસ્યો, રાજ્યના મંત્રી સર્વ શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, શ્રી મુળુભાઈ બેરા, પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના પ્રાંતના સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકારિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, સુશ્રી પૂનમબેન માડમ, શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો સર્વ શ્રી રમેશભાઈ ટિલાળા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી દૂર્લભજીભાઈ દેથરિયા, ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!