Rajkot: ઉનાળામાં અતિશય ગરમીથી બચવા માટે આરોગ્ય સલાહ
તા.૧૩/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઉનાળામાં અસહ્ય ગરમી (હીટ વેવ)ને કારણે આરોગ્ય પર થતી વિપરિત થઇ શકે છે. કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બીમારીથી પીડાઈ શકે છે. પરંતુ શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, માનસિક અને શારીરિક રીતે બીમાર ખાસ કરીને હૃદય રોગ અથવા હાઈ બ્લડપ્રેશર ધરાવતા વ્યક્તિઓ માટે હીટ વેવ વધુ જોખમકારક છે. તેમજ ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં આવતા વ્યક્તિઓએ તેમના શરીરને ગરમીને અનુરૂપ થવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. ગરમ વાતાવરણમાં એક્સપોઝર / શારીરિક પ્રવૃત્તિમાં ક્રમશ: વધારો કરીને અનુકૂલન પ્રાપ્ત કરવું જોઇએ.
હાઇડ્રેટેડ રહો:
તરસ ન હોય તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું, મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખવું જોઈએ.ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (O.R.S.) અને લીંબુ પાણી, છાશ /લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરવું જોઈએ. જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, લેટીસ અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
મહત્તમ શરીર ઢંકાય તેવા પાતળા, ઢીલા, વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરવા જોઈએ. માથું ઢાંકેલું રાખવું જોઈએ. સૂર્ય પ્રકાશના સીધા સંપર્ક દરમિયાન છત્રી, ટોપી, ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરવા જોઈએ.
હીટવેવ દરમ્યાન એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની વિશેષ દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઘરને ઠંડુ રાખવું જોઈએ, પડદા, શટર અથવા સન શેડનો ઉપયોગ કરીને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. દિવસ દરમિયાન નીચેના માળ પર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
રોજગાર દાતા અને કામદારો માટે :
૧. કામના સ્થળે ઠંડુ પીવાનું પાણી આપી અને હાઇડ્રેટેડ રહેવા માટે દર ૨૦ મિનિટે અથવા વધુ વખત એક કપ પાણી પીવું જોઈએ.
૨. સીધો સૂર્યપ્રકાશ ટાળવો જોઈએ.
૩. કામદારો માટે શેડ વર્ક એરિયા પ્રદાન કરીને કામના સ્થળે કામચલાઉ આશ્રય બનાવી શકાય છે.
૪. દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજના કલાકો માટે સખત અને આઉટડોર જોબ્સ ગોઠવી શકાય. આઉટડોર પ્રવૃત્તિઓ માટે આરામના સમયમાં વધારો કરવો જોઈએ અને એક કલાક મજૂરી કામ પછી ઓછામાં ઓછા દર પાંચ મિનિટ આરામ કરવો જોઈએ.
૫. વધારાના કામદારોને કામ સોંપવું જોઈએ અથવા કામની ગતિ ધીમી કરવી જોઈએ.
૬. કામના પ્રથમ પાંચ દિવસ માટે એક દિવસમાં ત્રણ કલાકથી વધુ કામ કરવું જોઈએ નહીં. ધીમે ધીમે પ્રવૃત્તિમાં અને કામના સમયમાં વધારો કરવો જોઈએ.
૭. કામદારોને ગરમી સંબંધિત બીમારી થવાનું જોખમ વધારી શકતા હોય એવા પરિબળ ઓળખવા માટે તાલીમ આપવી જોઈએ અને ગરમીના તાણના ચિન્હો અને લક્ષણો વિષે માહિતી આપવી જોઈએ.
૮. પ્રશિક્ષિત ફર્સ્ટ એડ પ્રદાતાઓ ઉપલબ્ધ હોવા જોઈએ અને ગરમી સંબંધિત બીમારીની ઘટના માટે ઇમરજન્સી રિસ્પોન્સ હોવો જોઈએ.
૯. સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો અથવા અમુક દવાઓ લેનારાઓએ ગરમીમાં કામ કરવા વિશે તેમના ચિકિત્સકો સાથે ચર્ચા કરવી જોઈએ.
૧૦. જો બહાર કામ કરતા હોય તો હળવા રંગના કપડા પહેરવા જોઈએ. ખાસ કરીને લાંબી બાયનું શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ.
૧૧. કર્મચારીઓ માટે જાગૃતિ ઝુંબેશ ગોઠવવી જોઈએ.
૧૨. કાર્યસ્થળે તાપમાન અને આગાહી પ્રદર્શન સ્થાપિત કરવા જોઈએ.
૧૩. માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કરવું જોઈએ અને કામદારો માટે અતિશય ગરમીની આરોગ્ય પર થતી અસર અને ઉચ્ચ તાપમાન દરમિયાન પોતાને બચાવવા માટે કયા પગલાં લેવા તે અંગેની તાલીમનું આયોજન કરવું જોઈએ.
હીટવેવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના ડોકટર, મ્યુનિસિપલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. તાત્કાલિક તબીબી સહાય માટે ૧૦૮ સેવાનો સંપર્ક કરી શકાશે. જો શરીરનું તાપમાન વધી ગયું હોય અથવા બેભાન, મૂંઝવણ અથવા પરસેવો બંધ થઈ ગયેલો હોય, તો ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવો જોઈએ. એમ્બ્યુલન્સની મદદ મળે ત્યાં સુધી દર્દીને ઠંડી જગ્યાએ ખસેડી, ત્વચા અથવા કપડા પર ઠંડુ પાણી રેડવું જોઈએ અને વ્યક્તિને શક્ય તેટલો પવન નાખવો જોઈએ.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાળી દ્વારા હીટવેવ સામે રાજકોટના નાગરિકોને કાળજી રાખવા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.