GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફુલઝરમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત

તા.૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રૂ.૧.૪ કરોડના ખર્ચે માર્ગનું પુનઃનિર્માણ થવાથી ગામલોકોને આવાગમનમાં સરળતા રહેશે

વિંછીયા પંથકમાં આશરે રૂ. ૬ કરોડના માર્ગોનાં કામો મંજૂર કરાયા: મંત્રીશ્રી બાવળીયા

Rajkot: રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આજે વિંછીયા તાલુકાના ફુલઝર ગામમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧.૪ કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામનારા આ માર્ગથી કિસાનો તેમજ લોકોને આવાગમન માટે સરળતા રહેશે.

ફુલઝરના રામદેવપીર મંદિર ખાતેથી માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કર્યા બાદ મંત્રી શ્રી કુંવરજીભાઈએ ગ્રામજનોને સંબોધતાં કહ્યું હતું કે, આ વિસ્તારનાં ગામો માટે રાજ્ય સરકારે આશરે રૂ.૬ કરોડના માર્ગોનાં કામો મંજૂર કર્યા છે. નજીકનાં ગામોની પરિવહનની સુવિધા વધુ સારી બનાવવા રૂ. ૧૫૫ લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપો નાખીને લોકોની પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે. ઉપરાંત, સિંચાઈનાં વિવિધ કામો ચાલી રહ્યા છે. ગયા વર્ષે ૮૫ તળાવો ઊંડા કરવામાં આવ્યાં હતાં અને આ વર્ષે તળાવોને ઊંડા કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ વિસ્તારમાં શિક્ષણની સુવિધા વધુ સારી બનાવવામાં આવી રહી છે. ગામની નજીક જ એક હાઈસ્કૂલ બની રહી છે, ઉપરાંત, આ પંથકમાં ગઢડિયા નજીક ત્રણ સરકારી કોલેજ પણ મંજૂર કરવામાં આવી છે..

તેમણે કહ્યું હતું કે, હાલ ઘેલા સોમનાથ મંદિરનો વિકાસ પુરઝડપે ચાલી રહ્યો છે. અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારી પણ વધશે.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, અગ્રણી શ્રી દેવરાજભાઈ, શ્રી અમરશીભાઈ, શ્રી લાલાભાઈ ગઢવી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યકમ અગાઉ મંત્રીશ્રીએ વનાળા ગામ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા મીની તળાવને ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!