ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર ગણેશ ગોંડલના સમર્થકોએ હુમલો કર્યો હતો. કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ગોંડલમાં ફરી એક વાર બે જુથો એકબીજાને હાકલા પડકારા કરતા સામસામે આવી ગયા છે. સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને પડકાર ફેંકતા તેના જવાબમાં જયરાજસિંહના ગઢ ગણાતા ગોંડલમાં અલ્પેશ કથીરીયાએ રવિવાર તા. 27ના આવી રહ્યા છે. આની જાણ તેણે ફેસબૂક પર અમે ગોંડલ આવી રહ્યા છીએ તેવી પોસ્ટ મુકીને કરી હતી.
જીજ્ઞાાસા પટેલ સહિત પાટીદાર અગ્રણીઓ પણ આવી રહ્યા છે ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા ધ્યાને લઈને તંગદિલીને ટાળવા ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.
અલ્પેશ કથિરિયાએ આ વિરોધ અને હુમલા વિશે વાત કરતાં કહ્યું કે, ‘જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.’
રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઈને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી…” આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.’ આજે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે.
બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો… 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.