
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની બંદરબાટ નીતિનાં પગલે છેવાડેનાં આદિવાસીઓ બન્યા તરસ્યા..

ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં જ્યાં એક તરફ સરકાર ‘હર ઘર નળ, હર ઘર જળ’ (નળ સે જળ) યોજનાને સફળ બનાવવાનો દાવો કરી રહી છે, ત્યારે સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેરિદ્રા ગામનું લાંબાસોંડા ફળીયું આ દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી યોજના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, આ ફળિયાના ગ્રામજનો આજે પણ પીવાના પાણીની મૂળભૂત સુવિધાથી વંચિત છે.પ્રાપ્ત માહિતી મુજબ, ખેરિદ્રાના લાંબાસોંડા ફળિયામાં સરકારી તંત્ર દ્વારા નળ સે જળ યોજના હેઠળ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે અને દરેક ઘેર નળ પણ લગાવી દેવામાં આવ્યા છે.પરંતુ આશ્ચર્યજનક અને દુઃખદ બાબત એ છે કે નળ લાગ્યા છતાં એક પણ ઘરમાં પાણીનું ટીપું આવતું નથી. યોજનાની કામગીરી પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ નળ સૂકાભઠ્ઠ રહેતાં, સમગ્ર યોજના માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાને કારણે, ગામની મહિલાઓના માથે દરરોજ પાણીની વ્યવસ્થા કરવાનું આકરું ભારણ આવી પડ્યું છે. તેમને આજે પણ રોજીંદી જરૂરિયાત માટે દૂરના કોતર, ઝરણાં કે નદી સુધી લાંબા અંતરની પગપાળા મુસાફરી કરવી પડે છે. આ માત્ર સમયનો વ્યય નથી, પણ મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પણ જોખમી છે.સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે ચોમાસું હજી માંડ પૂરું થયું છે અને જળસ્તર ઊંચા હોવા જોઈએ, તેવા સમયે જ ગ્રામજનોને પીવાના પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે. ટેન્કર દ્વારા પાણી મંગાવવાની આ સ્થિતિ, યોજનાના અમલ અને માળખાકીય ખામીની પોલ ખોલી નાખે છે.લાંબાસોંડા ફળિયાના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોમાં સરકારી તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે:“જ્યારે ચોમાસું પૂરું થયું છે, ત્યારે જ જો અમારે પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડતો હોય, તો આગામી કઠોર ઉનાળામાં અમારી શું હાલત થશે? જો અત્યારે જ પાણીની કોઈ વ્યવસ્થા નથી, તો ઉનાળાની શરૂઆતમાં જળસંકટ ઊભું થશે એ નક્કી છે.”સ્થાનિકોના આક્ષેપો વધુ ગંભીર છે. તેમના કહેવા મુજબ, નળ સે જળ યોજનામાં લાખો રૂપિયાની ફાળવણી થઈ હોવા છતાં, યોજનાનો અમલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. અધિકારીઓની ઘોર બેદરકારી અને માત્ર દેખાવાદી કામગીરીના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે. નળલાઇન નાખવા અને અન્ય માળખાકીય કામોમાં ગુણવત્તા જાળવવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોની તરસ છીપાવવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે.તરસ્યા અને ત્રસ્ત ગ્રામજનોએ હવે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સંબંધિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તાત્કાલિક લાંબાસોંડા ફળિયાની રૂબરૂ મુલાકાત લે.સમગ્ર યોજનાના કામની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે.યોજના પાછળ થયેલા ખર્ચ અને વાસ્તવિક કામગીરીનું ઓડિટ કરવામાં આવે અને સૌથી અગત્યનું, પીવાના પાણીની સુવિધા વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવે.જો આ માંગણીઓ સત્વરે નહીં સ્વીકારાય, તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.





