‘લાફા કાંડ’માં ચૈતર વસાવાને ઝટકો: ધારાસભ્યની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ‘લાફા કાંડ’ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડશે. નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા, તેમને હજુ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે તેમને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
આ ઘટનાથી નર્મદા જિલ્લા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ AAPના ધારાસભ્યને જામીન ન મળતા પક્ષમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ ભાજપ આ મામલે કાયદેસરની કાર્યવાહી પર ભાર મૂકી રહ્યું છે. હવે ચૈતર વસાવા માટે હાઈકોર્ટ એકમાત્ર આશાનું કિરણ છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત 5 જુલાઈ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.