ટેલીઆંબા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી રસ્તો ખુલ્લો કરાવવા ગામલોકોની 11 વર્ષથી લડત
તાહિર મેમણ – ડેડીયાપાડા – 27/03/2025 – સાગબારા તાલુકાના ખોપી ટેલીઆંબા ગામે જાહેરહિતના રસ્તા ઉપર વર્ષોથી કરવામાં આવેલ દબાણ દૂર કરવા ગ્રામજનો લડત ચલાવી રહ્યા છે છતાં દૂર કરવામાં આવતા નથી. 11 વર્ષની લડત બાદ પણ દબાણો નહિ હટાવાતા હવે ગામલોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
કલેકટરના આદેશને પણ સ્થાનિક તંત્ર ઘોળી પી ગયું હોય તેમ લાગી રહયું છે. ખોપી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ટેલિઆંબા ગામના સીમાડે કરતલ ગામ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા 11 વર્ષોથી ગામના જ વ્યક્તિએ દબાણ કરી રસ્તો બંધ કરી દેતા આ દબાણ દૂર કરવા અને રસ્તો ખુલ્લો કરવા માટે ગ્રામજનો 11 વર્ષથી લડત ચલાવી રહયાં છે. કાનૂની દાવપેચના કારણે રસ્તો ખુલ્લો નહિ થતાં હવે લોકોએ ધીરજ ગુમાવી છે.
નર્મદા જિલ્લા કલેકટરે પણ આ દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદારને હુકમ કર્યો છે છતાં અધિકારીઓ કલેકટરના હુકમની પણ અવગણના કરી રહ્યા છે અને આવા દબાણો કરનારા પરિબળોને સાથ આપી રહયા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. એક નહિ પણ કલેકટરે ચાર વખત હૂકમ કર્યો છે. આ તમામ હુકમો 2024ની સાલમાં કરવામાં આવ્યાં હતાં.
તારીખ 26મી જૂન 2023 ના રોજ થયેલ હૂકમ મુજબ દબાણની સરકારી ધારાધોરણ પ્રમાણે માપની પણ કરવામાં આવેલ છે અને તેની માપણીશીટ પણ સાગબારા મામલતદારને રજૂ પણ કરવામાં આવી હોવા છતાં જાહેરહિતના દબાણ દૂર કરવાના કલકેટરના હુકમની પણ સરેઆમ અવગણના કરવામાં આવી રહી છે.
તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો માં પણ મૌખિક અને લેખિતમાં ફરિયાદો કરેલ હોવા છતાં સ્થાનિક કક્ષાએથી આ દબાણો દૂર કરવા કોઇપણ પ્રકારની કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી.અને જાહેરહિત નો રસ્તો આજદિન સુધી ખુલ્લો કરાયો નથી કે નથી દબાણ કરનાર વ્યક્તિ વિરુધ્ધ કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ડેડીયાપાડા પ્રાંત અધિકારીને પણ અરજીઓ આપવામાં આવી છે. અને છેક ગાંધીનગર સુધી ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદો કરી છે અને જણાવ્યું છે કે 28 તારીખ સુધીમાં જો આ દબાણો દૂર નહીં થાય ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.