Rajkot: ટેકાના ભાવે જણસી વેચવા માગતા ખેડૂતો ૧૫મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉપજોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ ખરીફ સિઝનમાં મગફળી, મગ, અડદ, સોયાબીન ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે. આ માટે ખેડૂતો ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે કે, ટેકાના ભાવના વેચાણ માટે ખેડૂતો ઓનલાઈન નોંધણી જાતે કરી શકે છે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ. તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિનામૂલ્યે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે.
આ માટે જરૂરી ડોક્યુમેન્ટ ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭-૧૨, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે) જોડવાના રહેશે. વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિનિયર (વી.સી.ઈ.) અથવા ગ્રામસેવકશ્રી તથા તાલુકા કક્ષાએ ટી.એલ.ઈ.નો સંપર્ક કરી શકાશે.



