સુરતના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર રહેતા યુવકે તેની જ સોસાયટીમાં રહેતી કિશોરી સાથે મિત્રતા કર્યા બાદ રિક્ષામાં બેસાડી મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં હવસખોર ઈસમે કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે કિશોરીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવ્યા બાદ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેડરોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા જોગીંદર ભાસ્કર બીસવાલા એ તેની સોસાયટીમાં રહેતી માત્ર 13 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. અવારનવાર કિશોરી સાથે સોસાયટીમાં જ મુલાકાત થતી હોવાથી વાતો કરી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તારીખ 2/1/2024 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કિશોરી પંડોળ વિસ્તારમાં આવેલ ખાતામાં કામ કરવા માટે ગઈ હતી. સવારે 9:30 વાગ્યાના અરસામાં કિશોરી નાસ્તો કરવા માટે ખાતામાંથી નીચે ઉતરતા જોગીનદર ત્યાં મળી ગયો હતો અને તેણે મિત્રના ઘરે જવાની વાત કરી કિશોરીને રિક્ષામાં બેસાડીને અમરોલી કોસાડ આવાસ ખાતે મિત્રના ઘરે લઈ ગયો હતો.
જોગીનદર એ કિશોરી પર બળજબરીથી બળાત્કાર ગુજારી જો આ વાતની કોઈને જાણ કરશે તો તારા ભાઈને છોડીશ નહીં તેવી ધમકી આપી હતી. જેથી આખરે ગભરાયેલી કિશોરીએ ગતરોજ મામલે પરિવારને વાત કર્યા બાદ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોક બજાર પોલીસે જોગિન્દર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.