માનવતાનું જીવંત ઉદાહરણ: ઉમરા પોલીસ ચોકીના પી.એસ.આઇ.ડી.ડી. રાઠોડે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા

સુરત,વેલંજા ગતરોજ પડેલા ભારે વરસાદને કારણે વેલંજા વિસ્તારમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલી ઉમરા પોલીસ ચોકીના પી.એસ.આઈ શ્રી ડી.ડી. રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવેલી માનવતાભરી અને કર્તવ્યનિષ્ઠ કામગીરીએ લોકોના દિલ જીતી લીધા છે.
ભારે વરસાદ દરમિયાન અનેક પરિવારો પાણીમાં ફસાઈ ગયા હતા. ત્યારે પી.એસ.આઇ ડી.ડી. રાઠોડે પોતાની વ્યક્તિગત સુખાકારીની ચિંતા કર્યા વગર સતત વરસાદમાં રહીને બચાવ કામગીરી હાથ ધરી હતી. રેનકોટ કે છત્રીનો સહારો લીધા વગર તેઓએ પોલીસ ટીમ સાથે મળીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી.
આ બચાવ કામગીરી દરમિયાન 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના માટે તાત્કાલિક આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ પી.એસ.આઇ.રાઠોડ જાતે જ પાણીમાં ઉતરી લોકોને બહાર કાઢતા જોવા મળ્યા હતા, જેના દૃશ્યો લોકોએ પણ પ્રશંસાપૂર્વક સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, પી.એસ.આઇ ડી.ડી. રાઠોડે આખો દિવસ નિષ્ઠા, હિંમત અને સેવાભાવ સાથે ફરજ બજાવી હતી. આપત્તિના સમયમાં પોલીસની માનવતાભરી કામગીરીનું તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
“આવા કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી પોલીસ અધિકારીને લોકો તરફથી સો સો સલામ.”
રિપોર્ટર: કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત







