સરકારી નાણાંનું ધોવાણ? તડકેશ્વર સબ ડિવિઝનની ‘ઇલેવન આર સબ માઇનોર પીપોદરા સેક્શન’ કેનાલ (નહેર) બિસ્માર હાલતમાં!

પીપોદરા: સરકારી નાણાંનું ધોવાણ? તડકેશ્વર સબ ડિવિઝનની ‘ઇલેવન આર સબ માઇનોર પીપોદરા સેક્શન’ કેનાલ (નહેર) બિસ્માર હાલતમાં લોકચર્ચા ગત વર્ષે માંજ બિલ પાસ થઈ ગયું હોવા છતાં નહેર ની હાલત જર્જરીત, તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો
પીપોદરા/તડકેશ્વર સબ ડિવિઝન માં આવેલા ઇલેવન આર સબ માઇનોર નહેર જર્જરીત અવસ્થામાં જોવા મળી
સામાન્ય રીતે આપણે સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે જર્જરીત બનેલા મકાનો કે સરકારી કચેરીઓ જોઈ હશે, પરંતુ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીનો એક અનોખો કિસ્સો તડકેશ્વર સબ ડિવિઝન હેઠળ આવતી ‘ઇલેવન આર સબ માઇનોર પીપોદરા સેક્શન’ નહેર (કેનાલ) અવસ્થામાં જોવા મળી રહ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ નેર હાલ અત્યંત જર્જરીત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
સ્થાનિક સ્તરે ચાલતી લોકચર્ચાઓ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ‘ઇલેવન આર સબ માઇનોર’ (નહેર) કેનાલના સમારકામ કે યોગ્ય જાળવણી માટે ગત વર્ષે જ સરકારી ચોપડે બિલ પાસ થઈ ચૂક્યું છે. બિલ પાસ થઈ ગયું હોવા છતાં સ્થળ પર નહેર ની સ્થિતિ ઠેરની ઠેર છે. નહેર ઠેર-ઠેર થી તૂટી ગઈ છે અને જર્જરીત અવસ્થામાં હોવાને કારણે પાણીનો વ્યય થવાની તેમજ ખેડૂતોના ખેતરો સુધી પૂરતું પાણી ન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉઠતા આકરા સવાલો:
જો ગત વર્ષે જ આ કામનું બિલ પાસ થઈ ગયું હતું, તો પછી નહેર ની હાલત હજુ પણ આવી જર્જરીત કેમ છે?
શું કાગળ પર જ વિકાસ બતાવીને નાણાંનો સદુપયોગ (કે દુરુપયોગ) કરી લેવામાં આવ્યો છે?
સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આ સરકારી નાણાંનું ધોવાણ થયું છે?
ખેડૂતોમાં આક્રોશ
સરકાર દ્વારા ખેડૂતોની સિંચાઈ સુવિધા માટે લાખો-કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તડકેશ્વર સબ ડિવિઝનની આ બેદરકારીને કારણે પીપોદરા સેક્શનના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂત ભાઈઓ માગ કરી રહ્યા છે કે આ બાબતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ (RTI અથવા વિજિલન્સ તપાસ) થાય તો મસ્ત મજાનો ભ્રષ્ટાચાર બહાર આવે આવું લાગી રહ્યું છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરીને નહેર નું રીપેરિંગ કામ વેલીમાં વહેલી તકે કરવામાં આવશે કે પછી રાત કે દિવસ જોયા વગર તડકામાં મહેનત મજૂરી કરતા કણ માંથી મણ પકાવતા ખેડૂત અન્નદાતા ને નમણે હાથ મેકીને રડવાનું જ રહેશે ?
રિપોર્ટર:-કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









