
સાયણ, પ્રતિનિધિ: સાયણ સુગર ફેક્ટરીની વર્ષ 2026ની ચૂંટણીને લઈને તમામ ઝોનમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છાપરાભાઠા ઝોન-8માં ચૂંટણી રસપ્રદ બની છે. આ ઝોનમાંથી વર્તમાન ચેરમેન રાકેશભાઈ પટેલની પેનલ તરફથી પુષ્પેન્દ્રસિંહ રણજીતસિંહ મહીડા (ગુલાભાઈ) ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમનું ચૂંટણી નિશાન “ગાડું” છે.
પુષ્પેન્દ્રસિંહ મહીડા છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા અનુભવી ખેડૂત તરીકે ઓળખ ધરાવે છે. તેઓ વર્ષ 2015થી 2020 દરમિયાન સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર તરીકે પણ સફળતાપૂર્વક સેવાઓ આપી ચૂક્યા છે. ખેડૂત જીવનનો લાંબો અનુભવ અને ફેક્ટરીના વહીવટનો અનુભવ ધરાવતા મહીડા ખેડૂતોના હિત, ફેક્ટરીના સર્વાંગી વિકાસ અને પારદર્શક વહીવટને પોતાની પ્રાથમિકતા ગણાવી રહ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ શેરધારક ખેડૂતો સાથે સતત સંપર્ક સાધી પોતાના વિચારો અને વિકાસલક્ષી અભિગમ રજૂ કરી રહ્યા છે. તેઓ ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે, “સુગર ફેક્ટરીના ઉજ્જવળ ભવિષ્ય, ખેડૂતોના પરસેવાની સાચી કદર અને સંસ્થાના મજબૂત વિકાસ માટે અનુભવી ખેડૂતને તક આપો અને ‘ગાડું’ નિશાન પર મત આપી વિજયી બનાવો.”
સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને તમામ ઝોનમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. વિવિધ ઉમેદવારો ખેડૂતો વચ્ચે પહોંચી પોતાની વિકાસયોજનાઓ અને વિઝન રજૂ કરી રહ્યા છે. હવે આવનારા મતદાનમાં શેરધારક ખેડૂતો કોના પર વિશ્વાસ વ્યક્ત કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલી કામરેજ સુરત




