SURATSURAT CITY / TALUKO

સુરતમાં ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં રજાઓ પડતા જ પરપ્રાંતિય મુસાફરોનો ભારે ધસારો

સુરતમાં ઉનાળુ વેકેશન અને કારખાનાઓમાં રજાઓ પડતા જ પરપ્રાંતિય મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, તે જોઈને કોઈપણ હચમચી જાય તેવી સ્થિતિ છે. હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના વતન યુપી અને બિહાર જવા માટે ઉમટી પડ્યા છે.

શાળાઓમાં વેકેશન પડતા જ પરિવારો સાથે વતન જવા માંગતા લોકો અને ટેક્સટાઈલ-હીરા ઉદ્યોગમાં રજાઓ જાહેર થતા રત્નકલાકારો તેમજ શ્રમિકો સ્ટેશન પર ઉમટી પડ્યા છે. મુસાફરો ગઈકાલ રાતથી જ પ્લેટફોર્મની બહાર લાંબી કતારો લગાવીને ઉભા છે.  ભીડ એટલી જબરદસ્ત છે કે ટ્રેનના જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. મુસાફરો મજબૂરીવશ ટ્રેનના ડબ્બામાં ‘ઘેટા-બકરા’ની જેમ ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર ચાર ટ્રેનોમાં 10,500થી વધુ મુસાફરો રવાના થયા છે, પરંતુ હજુ પણ હજારો લોકો પોતાની વારીની પ્રતીક્ષામાં અટવાયેલા છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોનો મોટો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે રેલવે પોલીસે મુસાફરોને અત્યારે સ્ટેશન પર ન આવવા અને ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી પરત ફરવા માટે પણ અપીલ કરવી પડી છે. જોકે, વતનના મોહમાં મુસાફરો ત્યાંથી ટસથી મસ થવા તૈયાર નથી.

મુસાફરોનો આક્રોશ છે કે દર વર્ષે વેકેશનમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં રેલવે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી. લોકોની માંગ છે કે યુપી અને બિહાર તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા તાત્કાલિક વધારવામાં આવે જેથી લોકો સુરક્ષિત રીતે વતન પહોંચી શકે.

Back to top button
error: Content is protected !!